Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ઠાસરા તાલુકાના વજેવાલ ગામના 2 પ્રેમીપંખીડાએ નહેરમાં પડી મોતને વ્હાલું કરતા ચકચાર મચી જવા પામ્યો

ઠાસરા:તાલુકાના વજેવાલ ગામના 2 પ્રેમીપંખિડાએ શેઢીશાખા નહેરમાં પડી મોતને વ્હાલુ કર્યુ છે. બંને એક જ ફળિયામાં રહેતા હોવાથી એકબીજાના નજીક આવ્યા હતા. આ બનાવ અંગે દિકરીના પિતાએ ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો અનુસાર ઠાસરા તાલુકાના વજેવાલ ગામની યુવતી મંજુલા ગોવિંદભાઇ સોલંકી ઉં. ૧૯ અને  સુરેશભાઇ વજાભાઇ રાઠોડ ઉં.૨૮ છેલ્લા ઘણા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા.બંને એકમેકને પામવા માટે ગત તા.૮ એપ્રિલના રોજ ઘરેથી ક્યાક જતા રહ્યા હતા.આજે બપોરના સમયે બંનેની લાશ વિસનગર શેઢીશાખા કેનાલ પરથી મળી આવી હતી.આ બનાવની જાણ ઠાસરા પોલીસને થતા ઠાસરા પોલીસે બંનેના મૃતદેહનો કબ્જો લઇ ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે પી. એમ. કરાવવા માટે મોકલી આપી હતી. આ બનાવ અંગે સ્થાનિક નાગરિકોના મૂખે ચર્ચાઇ વાતો પ્રમાણે વજેવાલ ગામમાં રહેતી મંજૂલા સોલંકીનુ લગ્ન એક મહિના પહેલા થયુ હતુ.જ્યારે સુરેશભાઇ રાઠોડનુ લગ્ન અગિયાર વર્ષ પહેલા થયુ હતુ.વળી આ બંને પ્રેમીયુગલ એકજ ફળિયામાં રહેતા હોવાના કારણે એકમેકના પ્રેમમાં હતા. એકબીજાને પામી ન શકતા આ  અંતિમ પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.ગત તા.૮ એપ્રિલના રોજ ઘરેથી નિકળી ગયા બાદ કોઇ પણ સમયે વિસનગર શેઢીશાખામાં પડી મોતને વ્હાલુ કર્યુ હતુ.આ બનાવ અંગે દિકરીના પિતા ગોવિંદભાઇ પ્રતાપભાઇ સોલંકીએ ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

(6:31 pm IST)