Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

જુની માંગણીઓનું નિરાકરણ ન આવતા જીએમઇઆરએસ સંચાલિત ૮ મેડિકલ કોલેજના ડોક્ટર, પ્રાધ્યાપકો અને કર્મચારીઓની હડતાલઃ કાલ સુધીમાં નિર્ણય ન લેવાય તો અચોક્કસ મુદ્દતની હડતાળ

અમદાવાદ: રાજ્યની જીએમઇઆરએસ સંચાલિત 8 મેડિકલ કોલેજના ડૉક્ટર પ્રાધ્યાપકો અને કર્મચારીઓએ આજે હડતાલ પર ઉતર્યા છે. પોતાની જૂની માંગ સંતોષવામાં નહી આવતાં હડતાળ ઉપર જવાની ચીમકી તેઓએ ઉચ્ચારી હતી. રાજ્યની જીએમઇઆરએસ સંચાલિત ૦૮ મેડિકલ કોલેજમાં 650 થી વધુ પ્રાધ્યાપક ફરજ બજાવે છે. 10 વર્ષ થવા છતા તેમના પીએફ એકાઉન્ટ ખોલવામાં આવ્યા નથી આવ્યાં. તેમના પ્રમોશનની કોઇ સુવિધા ઉભી કરવામાં આવી નથી. પગાર વધારા માટેની પણ કોઇ જોગવાઇ નથી. મેડિકલ એલાઉન્સ કે મેડિકલ સુરક્ષા માટેની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમ છતાં તેઓ સતત અધ્યાપન સાથે સાથે કોંવિડ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે તેવી માંગ સાથે તેઓ હડતાળ પર ઉતર્યા છે. આજે 12:00 થી નોન કોવિડની કામગીરી બંધ કરવામાં આવી છે. રાજ્ય સરકાર કોઈ ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં સંપૂર્ણ હડતાલ પર જવામાં આવશે.

આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા રાજ્ય સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્ય સરકાર કોઈ નક્કર નિર્ણય કે પગલાં નહીં લે તો અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેથી આજે 12:00 થી નોન કોવિડની કામગીરી બંધ કરવામાં આવી છે.

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ ધરણા પર ઉતરી આવ્યા હતા. તેઓએ કહ્યું કે, 11 વર્ષથી પડતર રહેલી માંગણીઓને લઈને પ્રતીકાત્મક ધરણા કર્યાં છે. અનેક રજૂઆત બાદ પણ અમને ન્યાય નથી મળી રહ્યો. અન્ય કર્મચારીઓને મળતા લાભ મને નથી મળતા. 11 વર્ષથી અમારું આર્થિક શોષણ થઈ રહ્યું છે. અમારી માંગણી નહિ સ્વીકારાય તો વધુ કડક આંદોલન કરીશું.

હિંમતનગર GMERS હોસ્પિટલના તબીબો પણ હડતાલ‌ પર ઉતર્યાં છે. પોતાની પડતર માંગણીઓને લઈને આજથી નોન કોવિડ કામગીરી કરી બંધ કરાઈ છે. 24 કલાકમાં સરકાર માંગ પુરી નહિ કરે તો આવતીકાલથી કોવિડની કામગીરી પણ બંધ કરાશે તેવી ચીમકી અપાઈ છે. 10 વર્ષથી રેગ્યુલર એપોઇમેન્ટ હોવા છતાં PF કપાતુ નથી. પ્રમોશન સહિતના 14 જેટલા‌ મુદ્દાને લઈને તેઓ હડતાળ પર છે. સરકારે એક વર્ષ પહેલા માંગણીઓ પુરી કરવાનુ વચન આપી અમલ ના કરતા તબીબો હડતાલ પર ઉતર્યાં છે.

વડોદરામાં પણ જીએમઈઆરએસ કોલેજના તબીબી પ્રાધ્યાપકો હડતાળ પર ઉતર્યા છે. નોન કોવિડની કામગીરી આજથી બંધ કરાઈ છે. કોરોના દર્દીઓની આજે સારવાર કરશે. પણ આવતીકાલથી કોરોના દર્દીઓની પણ સારવાર બંધ કરશે. આવતીકાલથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે. આજે તબીબી પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવાનું પણ બંધ કર્યું છે.

(4:04 pm IST)