Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

હું ભાજપને ક્યાંરેય પણ છોડી શકુ તેમ નથી જ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

કોંગીમાં આવવાનું કહેનાર મારા સિદ્ધાંત જાણતા નથી : કોંગ્રેસના નેતાઓ-ધારાસભ્યોને નિવેદનોમાં તેમના નામનો ઉપયોગ નહીં કરવાની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ચેતવણી અપાઈ

અમદાવાદ,તા. ૧૧ :    વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના વિશે કોંગ્રેસના નેતાઓ અલગ-અલગ નિવેદન આપીને પોતાની રાજનીતિ ચલાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે થોડા આક્રમક મૂડમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલ મારા નામનો ઉપયોગ કરનાર કોંગ્રેસના તમામ લોકોને હું ચીમકી આપું છું કે મારા નામનો ઉપયોગ ન કરો. હાલ તો કોંગ્રેસમાં ભાગદોડ મચી છે. તમે મારા નામથી રાજનીતિ ના કરો, તમે ખોવાઈ ગયા છો એનાથી વધુ ખોવાઈ જશો.

 નીતિન પટેલ કોંગ્રેસમાં આવવાની વાતો કરીને કોગ્રેસ નેતાઓ પોતાની રાજનીતિ ચલાવી રહ્યા છે અને મીડિયામાં ચમકી રહ્યા હતા, જેથી આ વાતથી નીતિન પટેલ ઉશ્કેરાઈ ગયા હતા અને આજે કોંગ્રસના નેતાઓને સાફ શબ્દોમાં ચીમકી આપતાં સ્પષ્ટ કર્યું હતું કે, તમે મારા નામથી રાજનીતિ ના કરો, તમે ખોવાઈ ગયા છો એનાથી વધુ ખોવાઈ જશો. તમે બધા ભાજપના હાથે જ ખોવાઇ જશો. હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ મરીશ. મને રાજપા વખતે પણ અનેક લાલચો આપી પણ હું પહેલા પણ મારી વાત પર અડગ છું હું કોઈ લાલચથી પ્રેરાયો નથી અને ક્યારેય પ્રેરાઇશ નહીં.

          બે દિવસથી કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપમાં જવાના છે તે વાતથી રાજકીય ગરમાવો આવી ગયો છે. આ બધાની વચ્ચે આજે કોંગ્રેસના નેતા અને બેચરજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે એવું વિવાદીત નિવેદન કર્યું હતું કે, નીતિનભાઈ ૧૫ ધારાસભ્યો સાથે અમારી સાથે આવી શકે છે. આ વાત થોડીવારમાં ભાજપના મોટા નેતાઓ સુધી પહોંચી ગઈ હતી. નીતિનભાઈને આ વાતની જાણ થતાં તેઓ તાબડતોબ મીડિયા સમક્ષ પહોંચી ગયા હતા. તેની સાથે તેઓ ભાજપના છે અને એવી વાતો કરી પણ તેમને કોંગ્રેસના કયા નેતાએ આ કહ્યુ એ ભૂલી ગયા. નીતિન પટેલ એટલા બધા આક્રમક હતા કે તેઓ ભરત જી ઠાકોરની જગ્યાએ ભરતસિંહની સામે આક્ષેપ કરતા રહ્યા હતા. જો કે, નીતિન પટેલે તેમના નામનો ઉપયોગ સસ્તી પ્રસિધ્ધિ માટે નહી કરવા કોંગ્રેસના નેતાઓને સાફ શબ્દોમાં ચેતવણી આપી દીધી હતી.

(9:54 pm IST)