Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

કોંગ્રેસ પાર્ટીને અમે ગણકારતા નથી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પ્રહારો

જનતા સીએમ ગણે છે કે કેમ તેવો કોંગીનો પ્રશ્ન : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવેદન બાદ ખૂબ નારાજ દેખાતા કોંગીના ઘણા ધારાસભ્ય મેદાને : ભાજપમાં આંતરિક વિખવાદ : કોંગ્રેસ

અમદાવાદ,તા. ૧૧ : આગામી તા.૨૬ માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાનારી છે. જેને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે. દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં વ્યાપક અસંતોષ છે. કોંગ્રેસમાં ગુજરાતની નેતાગીરી બદલવાને પણ આંતરિક બધું ચાલી રહ્યું છે. જો કે, અમે તો કોંગ્રેસને  ગણકારતાં જ નથી. મુખ્યમંત્રીના આ નિવેદન બાદ કોંગ્રેસ ભડકી હતી. ખા કરીને કોંગ્રેસના ધારાસભ્યો, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સીએમ રૂપાણીના નિવેદનને લઇ વળતા પ્રહારો આપવા મેદાનમાં આવી ગયા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સીધો પ્રહાર કર્યો હતો કે, વિજયભાઇને કોઇ મુખ્યમંત્રી ગણે છે કે નહીં તે પ્રજાને અને તેમના મંત્રીને પૂછો. અડધી પીચે રમવાની વાતો કરે છે. પણ ભ્રષ્ટાચારની ચિંતા કરે. તેમના ધારાસભ્યો જાહેરમાં બોલતા થયા છે. તેમના જ મત વિસ્તારમાં દારૂની રેલમછેલ થાય છે.

           એમના ધારાસભ્યો તેમને ગણતા નથી. મધ્યપ્રદેશ અંગે તેમણે જણાવ્યું છે કે, ભાજપના શાસકો પ્રજા વચ્ચે જીતી શકતા નથી ત્યારે ધારાસભ્યો ખરીદી સત્તા મેળવે છે. મધ્યપ્રદેશની ઘટના કમનસીબ છે. આગળના સમયમાં ફ્લોર પર જોવા મળશે. કેતન ઇનામદાર અને બીજા ધારાસભ્યોના પડઘા હજુ સંભળાઈ રહ્યાં છે. એટલે કે મુખ્યમંત્રીની ઉંઘ ઉડી ગઇ છે. કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં ધારદાર રજૂઆત કરે ત્યારે તેમના મંત્રી લોંજમાં મળી અમને અભિનંદન આપે છે અને સૌ કોઇ જાણે છે તેમની સરકાર કયા રિમોટ કંટ્રોલથી અને કયાંથી ચાલે છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસની ચિંતા કરવાની તેમણે જરૂર નથી. વાસ્તવમાં, મુખ્યમંત્રીની ખુરશી ઉથલાવવા ચાલી રહેલી ભાજપના આંતરિક રાજકારણની હતાશામાં રૂપાણીએ આવું નિવેદન કર્યું હોય તેમ જણાય છે.  

       તો, કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોરે સીએમના નિવેદનના જવાબમાં જણાવ્યું કે, કોંગ્રેસમાં નહીં પરંતુ ભાજપમાં જ આંતરિક વિખવાદ હોવાનું અને મુખ્યમંત્રી બદલવાની વાત ચાલી રહી છે. નીતિનભાઇને અમે ઓફર કરી છે. ૧૫ ધારાસભ્ય લઇને આવી જાવ તો તમે મુખ્યમંત્રી બની જશો. અમારામાં કોઇ વિખવાદ નથી. દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં વિખવાદ જેવું કંઇ નથી. જેટલી ચૂંટણી આવી તેમાં ભાજપ ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરે છે. મને એવી કોઇ ઓફર થઇ નથી. કોંગ્રેસના બીજા એક ધારાસભ્ય ડો.અનિલ જોષીયારાએ જણાવ્યું કે,  કોંગ્રેસમાં કોઈ વિખવાદ નથી. તેમની આશા ઠગારી નિવડી છે. અમારી બે સીટ રાજ્યસભામાં આવશે. હું જ્યાં છું ત્યાં બરાબર છું. મને કોઇ ઓફર કરવામાં આવી નથી. તો, કોંગી ધારાસભ્ય રાજેન્દ્ર ઠાકોર, લલિત કગથરા અને લલિત વસોયાએ પણ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, અમારા તમામ ધારસભ્યો એક જ છે. અમારામાં કોઇ વિખવાદ નથી. અમારા વિપક્ષ નેતા અને પ્રમુખના નેતૃત્વમાં રાજ્યસભાની બે સીટો જીતીશું. મુખ્યમંત્રી પ્રજાના પ્રશ્નોની વાત કરે અને કોંગ્રેસની ચિંતા ના કરે તો સારૂ.

(9:52 pm IST)