Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌરપૂર્ણિમાની ઉજવણી થઈ

ગૌર પૂર્ણિમા મહોત્સવમાં હજારો શ્રદ્ધાળુ ઉમટયા : ભગવાન શ્રીચૈતન્ય-શ્રી નિત્યાનંદાને મહાઅભિષેક કરાયો

અમદાવાદ,તા.૧૧ :  જગતમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુના થયેલ પાવન અવતરણની સ્મૃતિરૂપે રૂપે હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ભારે ભકિતભાવ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પોતાની સ્વર્ણરૂપી કાયાને કારણે ગૌરાગાં તરીકે પણ પ્રસિધ્ધ છે. આ વર્ષે તેમની ૫૩૪મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ ઉત્સવ ગૌડીય વૈષ્ણવો માટે નવા વર્ષના પ્રારંભનુ પણ નિરૂપણ કરે છે અને ભકતો રાત્રે ચંદ્ર પૂર્ણપણે ખીલી ઉઠે ત્યાં સુધી ઉપવાસ રાખે છે. જગતમાં હરિનામ સંકિર્તનનો પ્રારંભ સર્વ શકિતમાન ભગવાન શ્રીકૃષ્ણ સ્વંયમ થકી કરવા ઈચ્છતા હતા તેમજ સ્વયંના ઉદાહરણ દ્વારા કેવી રીતે ભકિતમય સેવામાં સ્વયંએ સમર્પણ કરવું એ દર્શાવવા માંગતા હતા. આથી શ્રીમતી રાધારાની કે જે ભગવાનની સર્વોચ્ચ ભક્ત છે તેમના મનોભાવનો સ્વીકાર કરીને પોતે એક ભક્તરૂપે પ્રગટયા હતા.

         તેમના અવતરણના આ દિવસને ગૌરપૂર્ણિમા ઉત્સવ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. ગૌર પૂર્ણિમા મહોત્સવમાં હજારો શ્રધ્ધાળુ ભકતો ઉમટી પડયા હતા. ભક્ત સમુદાય દ્વારા શ્રી ચૈતન્ય મહાપ્રભુ જેમણે જગતભરમાં ભગવાન શ્રીકૃષ્ણના પવિત્ર નામનુ રટણ કરવાના ઉદેશનો પ્રસરાવ કર્યો એ ઉદ્દેશનું નિરૂપણ કરતા હરિનામ સંકિર્તનનું રટણ દિવસ આખા દરમ્યાન કરવામાં આવ્યું. મંદિરનો દરેક ખૂણો હરેકૃષ્ણ મહામંત્રના આધ્યાત્મિક ધ્વનિ તરંગોથી ગૂંજી ઉઠયો હતો અને ભકતોની આધ્યાત્મિકતાને વેગ મળતા તેમના ભગવાન પ્રત્યેના ભક્તિમય સમર્પણમાં ઉમેરો થયો હતો. બપોરના સમયે, ભગવાનશ્રીને ૧૦૮ પ્રકારના વિવિધ વ્યંજનો સાથે રાજભોગ અર્પણ કરી આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ મંદિરમાં ઉપસ્થિત સર્વ ભક્તોને રાજભોગનો પ્રસાદનો લાભ આપવામાં આવ્યો હતો. હરેકૃષ્ણ મંદિર, ભાડજના પ્રેસિડન્ટ શ્રી જગનમોહન કૃષ્ણ દાસાએ જણાવ્યું કે, હાલમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રસરેલ કોરોના વાયરસથી મંદિરના વહીવટીકર્તાઓ ચિંતિત છે અને આથી અમોએ ઉત્સવ દરમ્યાન મંદિર આવતા દર્શનાથીઓને અગમચેતીના ભાગરૂપે કોઈપણ આરોગ્ય સંબધિત સમસ્યાઓ ટાળવા સારી હાઈજીન પ્રેકટીસને અનુસરવા જાહેર નિવેદન કરવામાં આવ્યું હતુ.

            દર્શનાર્થીઓને છીંક અને શરદીના લક્ષણો જણાતા સંબધિત ફીઝીશીયનની મુલાકાત લેવા માટે પણ ભલામણ અને જરૂરી પ્રિસ્ક્રિપ્શનને અનુસરીને યોગ્ય સારવાર લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણને દરેકે સારા સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે શ્રી શ્રી નિતાઈ ગૌરાંગ (ભગવાન શ્રીચૈતન્ય અને શ્રી નિત્યાનંદા) ને સુંદર પુષ્પોથી સુશોભિત પાલકીમાં મંદિરના અધિકારશ્રેત્રમાં વિહાર કરાવવામાં આવ્યો હતો. ચૌતરફનું વાતાવરણ હરેકૃષ્ણ મંત્રના નાદથી અને ઢોલ નગારાના અવાજથી ગૂંજી ઉઠ્યું હતું.

           પાલકી ઉત્સવ બાદ ભગવાનશ્રીનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો જેમાં તેમને વિવિધ તત્વો જેવા કે દૂધ, દહીં, ઘી, મધ, ગોળનું પાણી, ફળોના રસ, અને ૭ પવિત્ર નદીઓમાંથી એકત્ર કરાયું હતું. જળના ૧૦૮ કળશ દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો. અભિષેક દરમ્યાન ગૌરઆરતી ભજન ગાઈને ખાસ આરતી ઉતારવામાં આવી હતી. પછી ભગવાનશ્રીને ૧૦૮ પ્રકારના વિવિધ પ્રકારના વ્યંજનો-મિષ્ટાનનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. હરેકૃષ્ણ મંદિરના ભક્તો દ્વારા ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની લીલા વિષયવસ્તુ પર ખાસ નાટક ચિંતામણી ભજવવામાં આવ્યું હતું. ઉત્સવના અંતમાં અતિભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી.

(9:47 pm IST)