News of Thursday, 11th January 2018
રાજકોટ તા. ૧૧: સરદારધામ અમદાવાદ દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગરમાં આયોજિત ''ગ્લોબલ પાટીદાર બીઝનેસ સમિટ-ર૦૧૮''માં, ''કૃષી અને ગૌઆધારિત ઉદ્યોગોમાં તાકીદ અંગેના સેમીનારમાં ૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. વલ્લભભાઇ કથીરિયાએ ર૧મી સદીમાં ગાય અને વિજ્ઞાનને અર્થકારણ સાથે જોડી ખેડુત, યુવા, મહિલા અને ઉદ્યોગપતિઓ સહીત સૌ કોઇ માટે ગૌ આધારિત ઉદ્યોગોની વિશાળ સંભાવનાઓ ઉપર પ્રેઝન્ટેશન કર્યું હતું.
ડો. કથીરિયાએ ગૌમાતાની આર્થિક મહત્વતા સમજાવી વર્તમાનમાં ધર્મ અને અધ્યાત્મ સાથે રાષ્ટ્ર નિર્માણમાં ગાયના પંચગવ્યનાં ઉપયોગ દ્વારા આર્થિક સંપન્નતા અને સમૃધ્ધિ સાથે દેશના વિકાસમાં મહત્વતા વિશે છણાવટ કરી હતી.
ડો. કથીરીયાએ જણાવ્યું હતું કે ભારતીય દેશી ગાયોના દૂધ, ''એ-ર મિલ્ક''નાં ગુણોની સર્વોપરિતા વિશ્વભરમાં વૈજ્ઞાનિક રીતે પુરવાર થઇ છે ત્યારે ગાયોની ઓલાદ સુધારણા દ્વારા શ્રેષ્ઠ જીનેટિક મટીરીયલ તૈયાર કરવા રીસર્ચ, લેબોરેટરી અને ગાયોનું સંવર્ધન વૈજ્ઞાનિક રીતે કરવામાં રોકાણ કરી આર્થિક ઉપાજન મોટા પાયે કરી બ્રાઝીલને પાછળ રાખી ભારત નંબર વન બની શકે તેમ છે.
ગોબર અને ગૌમુત્રનાં ઉપયોગથી બાયો ફર્ટીલાઇઝર બાયોગેસ, સી.એન.જી. તથા ઇલેકિટ્રકસીટી પ્રોડકશન દ્વારા દેશ સ્વાવલંબી બની શકે. એટલું ગૌધન દેશ પાસે છે. કરોડો-અબજો રૂપિયાનું વિદેશી હુંડીયામણ બચાવી શકાય તેમ છે. સમગ્ર વિસ્તારની વીજળી અને ગેસની જરૂરીયાત અને ખેતીમાં ફર્ટીલાઇઝરની જરૂરીયાત દેશનું વિશાળ ગૌધન પુરૃં પાડી શકે તેમ છે.
બળદનો ખેતીમાં અને ટ્રાન્સપોર્ટ તેમજ ઉર્જા નિર્માણમાં ઉપયોગ દ્વારા નવા પરિમાણો સ્થાપી શકાય તેમ છે. ગોબરની ચિપ્સ બનાવી રેડીએશન અટકાવવા અને ગોબર આધારિત ખેતી દ્વારા ઓર્ગેનિક ફૂડ તૈયાર કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનવા ડો. કથીરિયાએ યુવાનોને બીઝનેસમાં ઝંપલાવવા આહવાન કર્યું હતું.
રખડતી ગાયોના પ્રશ્નો ઉકેલવા એનિમલ હોસ્ટેલ દ્વારા વ્યવસાયનાં રૂપે ગૌ મુત્ર-ગોબરનો વૈજ્ઞાનિક, આર્થિક ઉપાર્જન માટે ઉપયોગ કરી ''સેવા સાથે મેવા'' દ્વારા પુણ્ય કાર્યમાં સહભાગી બની શકાય તેમ છે.
બિલ્ડર્સ લોબી ઇકો વિલેજ, કામધેનું નર, જેવી સ્કીમ દ્વારા પર્યાવરણ રક્ષા અને ગૌસેવાને વિચાર રેષ્ઠ રીતે પૂર્ણ કરી શકે છે. ડો. કથીીરયાએ વધુમાં ગૌ આધારિત ઉદ્યોગો માટે જી.આઇ.ડી.સી. જેવો ''ગૌધન ઔદ્યોગિક ઝોન'' નિર્માણ કરી યુવા અને મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ''સ્ટાર્ટ અપ'' દ્વારા ''મેક ઇન ઇન્ડિયા'' ઇન લાઇવ સ્ટોક વિચારને પૂર્ણ રીતે આકાર આપવા એન.આર.આઇ., કોર્પોરેટ ગૃહો, ઉદ્યોગપતિઓ સહીત સૌ કોઇને વણખેડાયેલા ક્ષેત્રમાં નાણા રોકાણ કરી દેશની સમૃધ્ધિમાં વધારો કરવા આહવાન કર્યું હતું.
ડો. કથીરિયાનાં પ્રવચનને ઉદ્યોગપતિઓ અને એન.આર.આઇ. તથા ઉદ્યોગગૃહો દ્વારા પ્રચંડ આવકાર મળ્યો હતો અને આગામી સમયમાં ગૌશાળા પાંજરાપોળોનાં તૈયાર રો-મટીરીયલનો ઉપયોગ કરી આર્થિક સમૃધ્ધિ દ્વારા ગૌશાળા સ્વાવલંબન અને આર્થિક સમૃધ્ધિ જેવા બેવડા પાસાઓને સર કરવા સૌ કોઇએ અનુમોદના આપી હતી.