Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

આદિવાસી લોકોને બંધારણીય અધિકારો મળતા નથી : જિગ્નેશ મેવાણી

જિગ્નેશ મેવાણીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું બિલ સળગાવ્યું : કાલે રજુ થનારું બિલ રોકાય તે જરૂરી : જિગ્નેશ મેવાણી

અમદાવાદ, તા.૧૦ : ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રમાં ત્રણ દિવસ માટે બરતરફ કરાયેલા અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આવતીકાલે વિધાનસભામાં રજૂ થનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગેનું વિધેયક વિધાનસભા પરિસરમાં સળગાવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. મેવાણીએ આજે મીડિયાની સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીની રચના અંગેના વિધેયકની નકલને સળગાવી વિરોધ પ્રદર્શિત કરતાં વિધાનસભા સત્રનું રાજકારણ જોરદાર રીતે ગરમાયું હતુ અને પ્રકારે મીડિયા સામે બીલની નકલ સળગાવાતાં ભાજપ સરકારની છાવણીમાં તેનો આક્રમક વિરોધ સાથે ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. બીલની કોપી સળગાવ્યા બાદ સંકુલમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા જીગ્નેશ મેવાણી અને તેમના સમર્થકોને પોલીસે અટક કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીની રચના અંગેના વિધેયકની નકલને સળગાવતી વખતે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું  કે, બીલને સળગાવીને હું મારો વિરોધ પ્રદર્શિત કરું છું.

      ગુજરાતના અનુસુચિત જાતિ અને જનજાતિના દલિત-આદિવાસી ધારાસભ્યોને અપીલ કરું છું કે, અનુસુચિત જનજાતિના ૨૭ અને દલિત સમાજના ૧૩ ધારાસભ્યો છે. તમામ ધારાસભ્યો સાથે મળી બીલનો વિરોધ કરે, પોતાનો રોષ પ્રગટ કરે. કોઇપણ સંજોગોમાં બીલ રોકાવું જોઇએ. ગુજરાતમાં આદિવાસી સમાજને તેમના બંધારણીય અધિકારો મળતા નથી અને બંધારણીય અધિકારોનું હનન થઇ રહ્યું છે એટલા માટે બીલની કોપી સળગાવું છું. મેવાણીએ વધુમાં ઉમેર્યું કે, આવતીકાલે ગૃહમાં રજુ થનારું બીલ કોઈપણ સંજોગોમાં રોકાવું જોઈએ કારણ કે આજે પણ આદીવાસી સમાજના હક્કોનું હનન થઈ રહ્યું છે.

       એટલું નહીં ગુજરાતમાં આજે પણ આદિવાસીઓને બંધારણીય હક્કો મળતા નથી. જો આવતીકાલે બીલ પસાર થશે તો આદિવાસી લોકો તેમના ધંધા-રોજગાર કરી શકશે નહીં. મને સસ્પેન્ડ કર્યો હોવાથી આવતીકાલે રજૂ થનારા બીલ સમયે હું ગૃહમાં ઉપસ્થિત રહી શકું તેમ નથી, તેમ કહી બીલ સળગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ સંકુલમાં રાજય સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા જીગ્નેશ મેવાણી અને તેમના સમર્થકોને પોલીસે ડિટેઇન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સંવિધાન દિવસની ચર્ચા દરમિયાન અયોગ્ય વાણી-વર્તનને કારણે વિધાનસભા અધ્યક્ષે સમગ્ર સત્ર દરમિયાન એટલે કે ત્રણ દિવસ સુધી મેવાણીને સસ્પેન્ડ કરી દેવાયા છે, જેથી તે આવતીકાલે રજૂ થનારા બીલમાં ઉપસ્થિત રહી શકશે નહીં.

(8:54 pm IST)