Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

આણંદ નજીક જોળ ગામના પાટિયા પાસે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત:ચાલકનું મૃત્યુ

આણંદ : આણંદ પાસેના બાકરોલ-વડતાલ રોડ ઉપર આવેલ જોળ ગામના પાટીયા નજીક ગઈકાલ રાત્રિના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ એક કારના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડની સાઈડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને પલ્ટી ખાઈ જતા કારચાલકનું  મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નિલેશભાઈ જશભાઈ પટેલ ઓટો કન્સલ્ટન્ટનો ધંધો કરે છે. તેઓની સાથે માતર તાલુકાના ત્રાજ ગામે રહેતો તેઓનો ભાણો જયનીલ પટેલ પણ આ ધંધા સાથે જોડાયેલ હતો. ગઈકાલ રાત્રિના સુમારે જયનીલ પટેલ વિદ્યાનગરથી કાર લઈને પોતાના ગામ ત્રાજ જવા માટે નીકળ્યો હતો. દરમ્યાન મોડી રાત્રિના સુમારે બાકરોલ-વડતાલ રોડ ઉપર આવેલ જોળ ગામ નજીકથી તેની કાર પસાર થઈ રહી હતી ત્યારે અચાનક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને એક ઝાડ સાથે અથડાતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં જયનીલ પટેલને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. મોડી રાત્રિના સર્જાયેલ આ અકસ્માતના પગલે આસપાસના સ્થાનિકો તેમજ વાહનચાલકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને અકસ્માતગ્રસ્ત કારમાં ફસાઈ ગયેલ જયનીલને બહાર કાઢી કરમસદ ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને ચકાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:57 pm IST)