Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ચિઠ્ઠીથી સંજીવન :બ્રેઇનડેડ ગિરિશચંદ્રએ જીવનની અંતિમ ક્ષણોમાં “ચિઠ્ઠી લખીને” અંગદાનની અંતિમ ઇચ્છા દર્શાવી

અંગદાન દેવશક્તિને ઉજાગર કરે છે - મેહુલભાઇ જોષી (અંગદાતાના પુત્ર) : લુણાવાડાના બ્રેઇનડેડ ગિરિશચંદ્રના અંગદાનથી મળેલા લીવરથી પીડિતનું જીવન બદલાયુ : અંગદાતાઓના દાનની સુવાસ સમાજમાં ફેલાઇ રહી છે : સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ચાર વર્ષથી કિડનીની ગંભીર બિમારીથી પીડાઇ રહેલા લુણાવાડાના ગીરીશચંદ્ર નિયમિતપણે ડાયાલિસીસની સારવાર હેઠળ હતા. ૧૨ મી નવેમ્બરના રોજ તેમને બ્રેઇન હેમરેજ થતા લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા. ૧૫ મી નવેમ્બરના રોજ તેમની સર્જરી કરવામાં આવી જેથી સ્થિતિમાં થોડો સુધાર આવ્યો. ૧૯ મી નવેમ્બરમાં રોજ ગીરીશચંદ્રને ભાન આવતા તેમણે પોતાના દિકરા મેહુલભાઇ પાસે એક કાગળ અને પેન માંગી અને ચબરખીમાં લખ્યું :

“અંગદાન કરશો..મારા શરીરમાં કિડની સિવાય હાથ -પગ સહિતના તમામ અંગો સારા છે..બધા અંગો સાજા અને પાવરફુલ છે...અને નીચે સહી કરી”(ચબરખીના અંશો)
ખરેખર ગીરીશચંદ્ર એવું કહેવા માંગતા હતા કે, જો હું બ્રેઇનડેડ થઇ જાવ તું મારા શરીરના અંગોનું દાન કરશો. છેલ્લા ૪ વર્ષથી કિડનીની અતિગંભીર સમસ્યાના કારણે તેઓ ઘણી તકલીફમાંથી પસાર થયા હતા અને એટલે જ તેમને અંગદાન કેટલું મહત્વનું છે તે ખબર હતી.જીવન અને મોત વચ્ચે ઝઝૂમી રહેલા ગિરિશચંદ્રએ જીવનની અંતિમક્ષણોમાં પોતાની અંતિમ ઇચ્છામાં અંગદાનનું સત્કાર્ય કરવા કહ્યું.
સિવિલ હોસ્પિલમાં ૧ લી ડિસેમ્બરના રોજ સારવાર અર્થે ગીરીશચંદ્રને દાખલ કરવામાં આવ્યા. ૪૭ દિવસની સારવારના અંતે તેઓને ૭ મી જાન્યુઆરીના રોજ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. બ્રેઇનડેડ થતા ગિરિશચંદ્ર જોષીના પુત્ર મેહુલભાઇ જોષી કે જેઓ ભારતીય નૌ સેનામાં સેવારત  છે તેઓએ સિવિલ હોસ્પિટલની ટીમને અંગદાન માટે સામેથી કહ્યું.
સિવિલ હોસ્પિટલની SOTTO(State Organ Tissue And transplant Organisation)ની ટીમ દ્વારા અંગદાન માટે ગીરીશચંદ્ર જોષીના વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા.જેમાંથી તેમના શરીરની પરિસ્થિતી જોતા લીવરનું દાન મળવુ શક્ય હતુ. જેથી ટીમ દ્વારા તેમના બ્રેઇનડેડ શરીરમાંથી લીવરને રીટ્રાઇવ કરીને કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદમાં પ્રત્યારોપણ કરવા માટે મોકલવામાં આવ્યું.
અંગદાન સફળ થયા બાદ સ્વ. ગિરિશચંદ્રના પુત્ર મેહુલભાઇ સાથે સંવાદ કર્યો ત્યારે તેમના વિચારોમાં તેમના પિતાના સંસ્કાર અને સિંચનની પ્રતિતી થઇ તેમણે કહ્યું કે, ભારતીય ઇતિહાસમાં ઋષિ દધિચીએ મનુષ્ય અવતારમાં દેવોના રક્ષણાર્થે પોતાના અંગોનું દાન કર્યું હતું તેમ નોંધાયેલું છે. મનુષ્ય જ્યારે જીવનની અંતિમ ક્ષણોમાં હોય છે ત્યારે તે સત્યની સમીપે જતો હોય છે. મૃત્યુ એ જીવનનું ખરુ સત્ય છે જેને લોકોએ સ્વીકારવું જોઇએ. સત્યને પામનરા વ્યક્તિ દેવ બની જાય છે. આ પરિસ્થિતિમાં વ્યકિત દ્વારા મળેલા દાનને દેવદાન ગણવામાં આવે છે. અંગદાન એ દેવદાન છે. દેવદાન મંત્ર શક્તિ થી ઉજાગર થતુ હોય છે ત્યારે અંગદાન પોતે જ દેવશક્તિને ઉજાગર કરે છે.મારા પિતાશ્રીના અંગદાન થકી જરૂરિયાતમંદ દર્દીના જીવનમાં બદલાવ આવ્યો તેનાથી મોટા ગર્વ લાગણી અમારા સમગ્ર પરિવારજનો માટે અન્ય કોઇ ન હોઇ શકે.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલના ૩૦ માં અંગદાનની આ ઘટના એક અનોખી ઘટના હતી.જ્યારે હોસ્પિટલના તબીબો રાઉન્ડ ધ ક્લોક મહેનત કરીને લોકોમાં અંગદાનની જાગૃતિ ફેલાવવા માટે કામગીરી કરી રહ્યા છે ત્યારે ગિરિશચંદ્ર જોષીના કરેલા અંગદાનના સત્કાર્યની સુવાસ સમાજના દરેક વર્ગ, સમગ્ર રાજ્યમાં સેવાકાર્યનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ અંકિત કરશે.( માહિતી સૌજન્ય : અમિતસિંહ ચૌહાણ)

(9:39 am IST)