Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

મધ્ય ઝોન : બે દિવસ પાણીની સમસ્યા રહેવાની સંભાવના છે

પાણી કાપને લઇ મહિલાઓ સૌથી વધુ પરેશાનઃ શાહપુર ચાર રસ્તાથી હલીમની ખડકી સુધી પાણી માટેની લાઇન સહિતનું કામકાજ ચાલુ હોવાથી સમસ્યાઓ રહેશે

અમદાવાદ,તા.૧૦: શહેરમાં સૌથી ગીચ વસ્તી ધરાવતા મધ્ય ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગ દ્વારા પાણીની લાઈનના જોડાણની કામગીરી આજે સવારનો પાણીનો પુરવઠો નાગિરકોને આપ્યા બાદ હાથ ધરાયુ હતું. જેના કારણે બે દિવસ સુધી સમગ્ર મધ્ય ઝોનમાં પાણીનો કકળાટ સર્જાય તેવી પૂરી શકયતા છે.

મધ્ય ઝોનના ઈજનેર વિભાગ દ્વારા દરિયાપુર વોર્ડ ખાતે શાહપુર ચાર રસ્તાથી હલીમની ખડકી સુધી ૪૫૦ મિમી વ્યાસની લાઈનનું જોડાણ તેમજ રોડ પરની હયાત ૨૫૦ મિમી અને ૧૫૦ મિમી લાઈન નાખવાનું કામ ચાલુ છે, જેના કારણે ૪૫૦ મિમી વ્યાસના જોડાણનું કામ આજે સવારના પાણીના પુરવઠા બાદ હાથ ધરવાનું શરૂ કરાયું હતું. તંત્રની પાણીની લાઈનના જોડાણની કામગીરી આજે સવારનો પાણીનો પુરવઠો નાગરિકોને અપાઈ ગયા બાદ હાથ ધરનાર હોઈ ત્યારબાદ દૂધેશ્વર વોટર વર્ક્સને બંધ કરાશે. દૂધેશ્વર વોટર વર્ક્સથી ખાડિયા, દરિયાપુર, શાહપુર, કાલુપુર, રાયખડ અને અસારવા વોર્ડ સહિત સમગ્ર મધ્ય ઝોનમાં દૈનિક ૭૨થી ૭૩ એમએલડી પાણી પૂરું પડાય છે, જોકે દૂધેશ્વર વોટર વર્ક્સને બંધ રાખીને ઈજનેર વિભાગ પાણીની લાઈનના જોડાણની કામગીરી કરવાનો હોઈ આજે સાંજનો પાણીનો પુરવઠો લોકોને અપાયો ન હતો. આ ઉપરાંત આવતીકાલે સવારે પણ લો પ્રેશરથી પાણી અપાનારું હોઈ ખાસ કરીને ગૃહિણીઓ માટે આવતીકાલની સવાર પાણીનો કકળાટ લાવનારી બની રહેવાની શકયતા છે. જો કે, અમ્યુકો તંત્રના સત્તાધીશોએ ઝડપથી કામ પૂર્ણ કરી પાણીનો પુરવઠો ચાલુ કરી દેવાશે એ મતલબનો દાવો કર્યો હતો.

(9:41 pm IST)