Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

શારદાબેન હોસ્પિટલના પાંચમા માળેથી યુવકની મોતની છલાંગ

યુવકના મોતને લઇ સમગ્ર વિસ્તારમાં ચકચાર : આત્મહત્યા કરનાર યુકવના મામલામાં પોલીસની તપાસ

અમદાવાદ, તા.૯ : શહેરના સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં આજે એક ગોઝારી ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. શારદાબહેન હોસ્પિટલના પાંચમા માળેથી આજે ૩૫ વર્ષના આશરાના એક યુવકે અચાનક કોઇક કારણસર નીચે ઝંપલાવ્યું હતું અને મોત વ્હાલું કર્યું હતું. આ બનાવને પગલે હોસ્પિટલ પ્રાંગણ અને સ્ટાફ કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી તો, હોસ્પિટલના દર્દીઓ અને તેમના સગાવ્હાલા સહિત સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, મૃતક યુવક દર્દી જ હોવાની અને કોઇ બિમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોવા અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. તો, યુવકના મોતને લઇ અનેક તર્ક-વિતર્ક અને અટકળો વહેતા થયા હતા. જો કે, પોલીસે મૃતક યુવક હોસ્પિટલનો જ કોઇ દર્દી હતો કે, બહારથી આવી તેણે આત્મહત્યા કરી હતી અને આત્મહત્યા કરવા પાછળનું કારણ શું તે સહિતના મુદ્દે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. કોઈને કોઈ વ્યક્તિ પોતાની આર્થિક, સામાજીક કે શારીરિક સમસ્યાને લઈ આપઘાત કરી લેતો હોય છે. આવી જ વધુ એક આત્મહત્યાની ઘટના આજે અમદાવાદમાં સામે આવી હતી. શહેરના સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં પાંચમા માળેથી કુદી ૩૫ વર્ષના આશરાના એક યુવકે અચાનક મોત વ્હાલુ કર્યું હતું.  આપઘાત કરનાર વ્યક્તિએ શારદાબેનમાં નવી હોસ્પિટલના પાંચમા માળેથી પડતુ મુકી આપઘાત કર્યો હતો. યુવકે આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. હોસ્પિટલના સ્ટાફ કર્મચારીઓ તેમ જ દર્દીઓ અને તેમના સગાવ્હાલા સહિત સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. તો, સ્થાનિક પોલીસને જાણ થતાં કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જો કે, મૃતક યુવક દર્દી જ હોવાની અને કોઇ બિમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોવા અંગે પણ શકયતા તપાસી તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

(9:39 pm IST)