Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

સાચો એક્ટર એ છે જે બધા રોલમાં ઢળી જાય : નટુ કાકા

તારક મહેતા ફેઇમ નટુકાકા ઘાટલોડિયા પધાર્યા : ઘાટલોડિયા ખાતે કાઇરો લાઈફ હેલ્થ સેન્ટરની મુલાકાત લઇને પ્રભાવિત : નટુ કાકાનો રોલ નિભાવવા બદલ ખુશી

અમદાવાદ,તા. ૯ : મારી દ્રષ્ટિએ સાચો એકટર એ જ છે કે જે બધા રોલમાં ઢળી જાય અને પાત્રને દર્શકોને ગમે તે પ્રકારે ન્યાય આપે. દર્શકો તમારા પાત્ર અને કામના વખાણ કે પ્રશંસા કરે તે જ સાચો આત્મસંતોષ કહેવાય. મેં જીવનમાં ફિલ્મો હોય કે સીરિયલ હંમેશા મારા પાત્રને ન્યાય આપવાનો અને દર્શકોની અપેક્ષા પર ખરા ઉતરવાનો પ્રયાસ કર્યો છે આ શબ્દો છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઇમ નટુકાકા એટલે કે, ઘનશ્યામભાઇ નાયકના. ગુજરાતી ફિલ્મોમાં કોમેડિયન તરીકે કાઠુ કાઢનાર અને હાલ ચાલી રહેલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાના પાત્રથી લોકોમાં ખૂબ જાણીતા અને લોકપ્રિય બનેલા નટુકાકા ઉર્ફે ઘનશ્યામભાઇ નાયકે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં કાઇરો લાઇફ હેલ્થ સેન્ટરની અચાનક સરપ્રાઇઝ વીઝીટ લીધી હતી. ઘનશ્યામભાઇ નાયક ઉર્ફે નટુકાકાએ જણાવ્યું હતું કે, તારક મહેતા સિરીયલની લોકપ્રિયતા બાદ અને મારા નટુકાકાના ફેમસ કેરેકટર બાદ લોકો મને નટુકાકા તરીકે જ ઓળખતા થઇ ગયા છે અને કયાંય જઉં તો પણ નટુકાકા કહીને જ બોલાવે છે. જો મારી સાથે સાથે સીરિયલના અન્ય પાત્રો પણ ખૂબ લોકપ્રિય અને સૌના પ્રિય બની રહ્યા છે. ખુદ સીરીયલના ડાયરેકટર, રાઇટર, એડિટર સહિતના તમામ લોકો પોતપોતાની ભૂમિકા સંપૂર્ણ નિષ્ઠા અને દર્શકોની પસંદને ધ્યાનમાં રાખીને નિભાવી રહ્યા છે, તેને લઇને જ સીરીયલની લોકપ્રિયતા આટલી વધી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું આ ૧૨મું વર્ષ છે અને છતાં તે લોકપ્રિયતા અને સફળતાના શિખરો સર કરી રહી છે તે બધાનો અથાગ પરિશ્રમ અને મહેનતની સાથે સાથે દર્શકોનો ભરપૂર પ્રેમ અને લાગણી છે. તારક મહેતા સીરિયલમાં કામ કરવા બદલે તેમણે ભારે ખુશીની લાગણી વ્યકત કરી હતી. નટુકાકાએ કાઇરો લાઇફ હેલ્થ સેન્ટરની મુલાકાત બાદ જણાવ્યું કે, આ સેન્ટરમાં દર્દીઓની બિમારી કે રોગની વિનામૂલ્યે સારવાર કરાતી હોય છે અને સારા પરિણામ પણ મેળવે છે, કાઇરો લાઇફ હેલ્થ સેન્ટરની મુલાકાત લઇને હું પ્રભાવિત થયો છું. અહીંયા બધા દર્દીઓને મળ્યા પછી પણ મને લાગ્યું કે, અહીંની સારવારથી તેમની બિમારી અને રોગમાં ઘણો ફેર પડયો છે અને સારા પરિણામ મળ્યા છે. અસાઈત ઠાકર ભવનના ઉદઘાટન માટે ખાસ ઘનશ્યામ નાયક અમદાવાદ આવ્યા હતા. ઓમ ભવાઈના પ્રેયતા અસાઈત ઠાકર નટુ કાકાના ગુરુ છે. ઘનશ્યામભાઇ ફિલ્મો,થિયેટર હવે સિરિયલ માં પણ ખુબ નામનાં મેળવી આજે આગવું સ્થાન  અને ઓળખ પ્રસ્થાપિત કરી ચુક્યા છે ત્યારે તેઓ આગામી તારક મહેતાના આગામી એપિસોડમાં પણ દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડતા રહેશે.

(9:55 pm IST)