Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

ઘાટલોડિયામાં વૃધ્ધ દંપત્તીની હત્યામાં બે શખ્સની ધરપકડ

ધનતેરસના દિવસે વૃધ્ધ દંપત્તીની હત્યા થઈ હતી : ઝડપાયેલા બંને આરોપીએ મૂળ ઝારખંડના વતની, સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને ઝડપ્યા

અમદાવાદ, તા.શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ધનતેરસના દિવસે થયેલી વૃદ્ધ દંપતીના હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પ્રાપ્ત માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડબલ મર્ડર કેસમાં બે આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ઝડપાયેલા બંને આરોપીએ મૂળ ઝારખંડના વતની હોવાનું સામે આવ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ શહેરભરમાં ચકચાર મચાવનારા દંપતીની હત્યાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી. દરમિયાન સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ યુવક જણાયો હતો, જેની ઓળખ કરી પૂછપરછ કરતાં ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું અને અન્ય એક શખસ સાથે મળીને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. હવે ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી લૂંટના ઇરાદે, અંગત અદાવત અથવા અન્ય કોઈ કારણોસર હત્યા કરી હતી કે કેમ અંગેની વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાત્રે બનેલી ઘટનામાં દયાનંદ શાનબાગ (૯૦) અને તેમના પત્ની વિજ્યાલક્ષ્મી શાનબાગ (૮૦)ની લાશ હત્યા કરાયેલી હાલતમાં તેમના ઘરમાંથી મળી આવી હતી.

તેઓ પારસમણી ફ્લેટમાં ત્રીજા માળે રહેતા હતા. ઘાટલોડિયા વિસ્તારમાં બનેલી ઘટનાના મહિના પહેલા અશોકભાઈ અને જ્યોત્સનાબેન પટેલની હેબતપુરમાં આવેલા શાંતિવન પેલેસ બંગ્લોમાં ગળું કાપીને હત્યા કરી હોવાની ઘટના બની હતી. મૂળ કર્ણાટકના અને વર્ષોથી અમદાવાદમાં રહેતા દયાનંદ સુખરાવ શાનબાગ તથા તેમના પત્ની વિદ્યાલક્ષ્મી દયાનંદ શાનબાગ ઘટના સમયે ઘરમાં એકલા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી રન્નાપાર્ક પાસે આવેલા પારસમણી ફ્લેટમાં રહેતા હતા. કિરણ શાનબાગની દીકરી દાદા-દાદી સાથે રહેતી હતી. દરમિયાન મંગળવારે જ્યારે ઘરે દવાનું પાર્સલ લઈને ડિલિવરી બોય આવ્યો ત્યારે કોઈ દરવાજો ખોલતું નહોતું. જેથી પાડોશીઓની મદદથી દરવાજો ખોલતા બંને વૃદ્ધ દંપતી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા, તેમજ ઘરનો સામાના પણ વેરવિખેર હતો.

(10:24 pm IST)