Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

ગાંધીનગરના સચિવાલયમાં ઘૂસેલા દીપડાને છેક સાસણના જંગલમાં છોડી મુકાશે

જંગલમાં છોડતા પહેલા દીપડાને થોડો સમય વન વિભાગ પોતાની કસ્ટડીમાં રાખશે:

અમદાવાદ: ગાંધીનગરના મોડીરાત્રે  સચિવાલયમાં ઘૂસી ગયેલા અને કલાકો પછીની જહેમત બાદ પકડીને દીપડાને જૂનાગઢ લઈ જવાયો છે. આ દીપડાને જંગલમાં છોડી મૂકાશે કે પછી તેને પ્રાણી સંગ્રહાલયમાં રખાશે તે હજુ નક્કી નથી. જૂનાગઢના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ દુશ્યંત વસાવડાએ આ અંગે જણાવ્યું હતું કે, દીપડાને સાસણના જંગલ વિસ્તારમાં છોડી મૂકાશે.

 


જંગલમાં છોડતા પહેલા દીપડાને થોડો સમય વન વિભાગ પોતાની કસ્ટડીમાં રાખશે, અને તેનું પૂરતું હેલ્થ ચેકઅપ  કરી, થોડો સમય ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ તેને મુક્ત કરી દેવાશે. દીપડાને જૂનાગઢ મોકલાયો તે પહેલા પણ ગાંધીનગરમાં તેનું હેલ્થ ચેકઅપ કરાયું હતું. દીપડાને એવા વિસ્તારમાં જ છોડવામાં આવશે કે જ્યાં તેને પુરતો ખોરાક તેમજ પાણી મળી રહે અને અન્ય પ્રાણીઓની તેને કનડગત ન થાય.

મહત્વનું છે કે, સોમવારે દીપડો સચિવાલયમાં ઘૂસી ગયો હતો, અને તેના કારણે દહેશતનો માહોલ ઉભો થતાં હજારો કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા હતા. પહેલીવાર સચિવાલયમાં વર્કિંગ ડે હોવા છતાં કોઈ કામ નહોતું થઈ શક્યું. દીપડાને પકડવા માટે વન વિભાગે કલાકો સુધી કામગીરી કરી હતી, અને આખરે એક નાળામાંથી તેને ઝડપી લેવાયો હતો.

આ દીપડો ક્યાંથી સચિવાલયમાં આવ્યો તે શોધવા હજુય કાર્યવાહી ચાલી રહી છે. ફરી આવી ઘટના ન થાય તે માટે સચિવાલયના દરવાજાઓની નીચેની તરફ પણ સેફ્ટી રોડ્સ લગાવવાની કામગીરી શરુ કરી દેવાઈ છે.

(10:21 pm IST)