Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

આઇપીએસ અધિકારીઓના ખાનગી ચર્ચા-ચોરાની વાત

આઇપીએસ અધિકારીઓની બદલીના વિલંબનું આ છે રહસ્ય

સુરતના પોલીસ કમિશ્નર તરીકે વફાદારને ઇનામ આપવું કે પછી આઇએએસ અધિકારીઓની સલાહ મુજબ પોષ્ટીંગ કરવા ? મહત્વના સ્થાનો માટે પેચ ફસાયો : ભારે મથામણ : અમદાવાદ સીટી ક્રાઇમના બોસ તરીકે જુના જોગીને મુકવા કે પછી સાઉથ ઇન્ડીયન અધિકારીને ? કેશવકુમારથી આઇએએસ લોબી નારાજ? આશીષ ભાટીયા માટે આવુ વિચારાઇ રહયું છે

રાજકોટ, તા., ૯: આઇએએસ કક્ષાએ  કલેકટર-ડીડીઓ-મ્યુનિસીપલ કમિશ્નર અને સિનીયર કક્ષાના અધિકારીઓની બદલીના હુકમો અને તેમાં સુધારા-વધારા કરાયા પરંતુ હજુ સુધી આઇપીએસ કક્ષાએ લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી છે તેવા ટોપ ટુ બોટમ બદલી-બઢતીનો પેચ કયા ફસાયો છે? તેની ચર્ચા આઇપીએસ કક્ષાની સાથોસાથ રાજય પોલીસ તંત્રમાં હોટ ટોપીક બની રહી છે.

આઇપીએસ અધિકારીઓ અને સચિવાલય વર્તુળોમાં ચર્ચાતી વાતો મુજબ સુરતના પોલીસ કમિશ્નર અને અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશ્નર (ક્રાઇમ)ની જગ્યા અંગે શું કરવું? તેની સમસ્યા છે. આ બંન્ને જગ્યા પર રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇના  વિશ્વાસુઓને લેવા માટેની વાત છે. સુરતની વાત કરીએ તો આઇબીમાં ઘણા વર્ષોથી કેન્દ્ર સરકારના વિશ્વાસુ એવા રાજેન્દ્ર બ્રહ્મભટ્ટને તેમની વફાદારીના ઇનામ તરીકે સુરત પોલીસ કમિશ્નર તરીકે મુકવા સાથોસાથ અમદાવાદ સીટી ક્રાઇમમાં પણ એક જુના જોગી એવા અધિકારી માટે વિચારાઇ રહયું છે.

બીજી તરફ આઇએએસ લોબી પૈકીના કેટલાક સિનીયર અને કેન્દ્રની નજીકના અધિકારીઓ સુરત કે જે ગુજરાતનંુ આર્થીક પાટનગર છે, જે મુંબઇની નજીક છે. જયાં પરપ્રાંતીયો ઉભરાઇ રહયા છે તેવા આ શહેરને ચલાવવા કેટલાક સક્ષમ અને નોનગુજરાતી આઇપીએસને મુકવા માટે ભારપુર્વક ભલામણ થઇ રહી છે. આને કારણે પેચ ફસાયો છે.

ગુજરાતના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં મોટા મગરમચ્છોને સપડાવનાર અને કેટલાક  રેવન્યુના ઉચ્ચ અધિકારીઓને સપડાવી ચોક્કસ કૌભાંડો બહાર લાવનાર એસીબી વડા કેશવકુમારથી ચોક્કસ આઇએએસ લોબી નારાજ છે. આમ તો તેઓ ડેપ્યુટેશન પર જવાના છે. આ હુકમમાં ઢીલ થયે  તેઓને એસીબીમાંથી બદલવાના થાય તો એમને  અત્યારે કરોડોના કૌભાંડો બહાર લાવી સીઆઇડી ક્રાઇમને ટોચે મુકનાર આશીષ ભાટીયાના સ્થાને કેશવકુમારને મુકવાનો મત છે.

અમદાવાદના પોલીસ કમિશ્નર પદે પોતાની કામગીરીથી ભુતકાળમાં સમગ્ર બોંબબ્લાસ્ટનો પર્દાફાશ કરી કેન્દ્રીય એજન્સીઓને પાછળ રાખી દેનાર આશીષ ભાટીયાને તેઓની ઉત્કૃષ્ટ કામગીરી ધ્યાને લઇ મુકવાની વાત ચાલે છે. એ.કે.સિંહ જો ડેપ્યુટેશન પર ન જાય તો તેમનેે એસીબીમાં મુકવાનો એક મત છે. કેશવકુમારની પરંપરા ચાલુ રાખવા આ વિકલ્પ જ યોગ્ય હોવાનું માનવામાં આવે છે. આમ હજુ આ બધુ સેટલ થતા એક સપ્તાહ નિકળી જાય તો નવાઇ નહિં.

(11:59 am IST)