Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ચીનના પાપે સુરતના હીરા ઉદ્યોગને ૮૦૦૦ કરોડનું નુકસાન

દેશની GDPમાં ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝનો મોટો ફાળો રહેલો છેઃ હુંડિયામાં ૪.૦૫નો હિસ્સો ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝનો રહ્યો છે

મુંબઇ,તા.૯ : કોરોના વાયરસની માત્ર માનવ જીવન ઉપર જ નહીં, પણ આર્થિક ક્ષેત્રે પણ માઠી અસર થઇ રહી છે. સુરતના હીરા ઉદ્યોગને લગભગ ૮૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે અને તેનું કારણ છે ચીનમાંથી વિશ્વમાં ફેલાયેલો જીવલેણ ચેપી રોગ કોરોના વાયરસ. કોરોના વાયરસના લીધે હોંગકોંગે ઇમર્જન્સીની જાહેરાત કરી દીધી છે. હોંગકોંગ સુરતના હીરા ઉદ્યોગ માટેનું મુખ્ય નિકાસ બજાર છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતની અંદર ડાયમન્ડ મેનીફેકચરિંગ ફેકટરીઓ છે, દુનિયામાં તો ૧૫ હીરા બનતા હોય છે તો ૧૪ હીરા માત્ર ભારતમાં અને તે પણ ગુજરાતમાં બની રહ્યા છે. સંપૂર્ણ હીરા પોલીશીંગનો કન્ટ્રોલ ભારત દેશ પાસે છે. એક વર્ષમાં ૨૪ બિલિયન ડોલરનું ટર્નઓવર હીરા ઉદ્યોગનું છે. સુરતમાંથી દર વર્ષે હોંગકોંગ ખાતે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના પોલિશ્ડ હીરાની નિકાસ કરવામાં આવે છે. જે સુરતમાંથી થતી હીરાની કુલ નિકાસનો ૩૭ ટકા હિસ્સો છે.

હવે કોરોના વાયરસના પ્રકોપના લીધે હોંગકોંગની સરકારે એક મહિના માટે રજા જાહેર કરી દીધી છે. લોકડાઉન દરમિયાન તો સંપૂર્ણ હીરા ઉદ્યોગ સજ્જડ બંધ હતો અને અનલોકમાં હવે કોરોનાનું સંક્રમણ રત્નકલાકારોમાં ફેલાયો હોવાથી ઉદ્યોગકારો પણ ભયમાં આવી ગયા છે. ૭૫ દિવસ બાદ હીરા ઉદ્યોગ શરૂ થયો હતો. પ્રથમ કન્સાઇમેન્ટ પણ સુરતથી હોંગકોંગમાં કાર્ગો પ્લેન દ્વારા મોકલવામાં આવ્યું હતું. પરંતુ હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને અંદાજિત એક હજાર કરોડનું નુકસાન થયું હોવાનું અનુમાન વેપારીઓ લગાવી રહ્યા છે અને આ આંકડો હજુ પણ વધી શકે તેવું વેપારીઓ વિચારી રહ્યા છે.

દેશની GDPમાં ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝનો મોટો ફાળો રહેલો છે. હુંડિયામાં ૪.૦૫નો હિસ્સો ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીજનો રહ્યો છે. દેશના વિકાસમાં હીરાઉદ્યોગનો મોટો ફાળો વર્ષોથી રહ્યો છે. સરકાર દ્વારા MSMEની સ્કીમની જે જાહેરાત કરી છે, તેની પર એક કમિટીની રચના કરવી જોઈએ અને તપાસ કરવી જોઈએ કે ખરેખર ઉદ્યોગકારોને આર્થિક મદદ મળી રહી છે કે નહિ. ઉપરાંત રિપોર્ટ આપવો જોઈએ કે કેમ નથી મળી રહી. તો જ આ હીરાઉદ્યોગ પાછું વહેલું બેઠું થશે અને દેશના વિકાસમાં ફરી મદદરૂપ થશે.

સુરતમાં બનેલા પોલિશ્ડ ડાયમંડ અને જવેલરી વાયા હોંગકોંગ દુનિયા ભરના દેશોમાં મોકલવામાં આવે છે. પરંતુ હવે ત્યાં રજાઓના લીધે કામકાજ સંપૂર્ણપણે બંધ થઇ ગયા છે. વેપારીઓ ભારત પરત આવી રહ્યા છે. જો સ્થિતિ સુધરશે નહીં તો સુરતના હીરા ઉદ્યોગને હજારો કરોડો રૂપિયાનું નુકસાન થઇ ગયું છે.

(11:56 am IST)