Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

કોંગ્રેસે હંમેશા ખોખલા વચન જ આપ્યા : વિજય રૂપાણીનો દાવો

ભાજપ ૩૭૦ની કલમ અને કલમ ૩૫ને દૂર કરીને માનશેઃ કોંગ્રેસના ૬૦ વર્ષ તેમજ મોદીના ૬૦ મહિનાના શાસનમાં શું તફાવત છે તે જનતાએ અનુભવ્યું છે : અગાઉની મૌન સરકારમાં ભ્રષ્ટાચારનું જ આચરણ

અમદાવાદ,તા.૯: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ''શ્રી કમલમ'' ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતુ કે, ભાજપા દ્વારા જાહેર થયેલ સંકલ્પ પત્ર ૨૦૧૯ ભાજપાના આ સંકલ્પપત્ર ભાજપાના ''ભારત કે મન કી બાત'' કાર્યક્રમ દ્વારા દેશભરમાંથી મળેલા સૂચનો અને પ્રતિભાવોનો સમાવેશ કરીને જનજનની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા માટેનું સંકલ્પપત્ર છે. ૩જી ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ''ભારત કે મન કી બાત મોદીજી કે સાથ'' અભિયાનની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તથા ગૃહમંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં થઈ હતી. કુલ ૩૦૦ રથ અને ૭૭૦૦ સૂચન પેટીઓ લઈને દેશના ૪૦૦૦ વિધાનસભા ક્ષેત્રોમાં આ મહાઅભિયાન હાથ ધરાયું હતું અને ૧૧૦ જેટલી વિશિષ્ટ સંવાદ સભાના આયોજન દ્વારા તથા સોશિયલ તથા ડિજિટલ મીડિયાના માધ્યમથી થકી પ્રજાજનોના સૂચનો મેળવ્યા હતા. માનનીય ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં બાર સન્માનનીય સભ્યોની એક ટીમે આ વિસ્તૃત સંકલપત્ર અને આખરી ઓપ આપ્યો હતો. ભાજપાનું સંક્લપપત્ર એ ખેડુતો, મધ્યમ અને ગરીબ વર્ગની આશા અને અપેક્ષાઓને મૂર્તિમંત કરવા માટેનું નક્કર આયોજન સાથેનું વાસ્તવિક સંકલ્પ પત્ર છે. રાષ્ટ્રવાદ એ અમારી પ્રેરણા છે, અંત્યોદય એ અમારું દર્શન અને સુશાસન અમારો મંત્ર છે આ મૂળમંત્રને સાચા અર્થમાં પ્રતિબિંબિત કરતું આ સંકલ્પપત્ર ''એક ભારત શ્રેષ્ઠ ભારત'' માટેનો રોડમેપ છે. ૧૩૦ કરોડ દેશવાસીઓના સપનાનું ભારત - સશક્ત ભારતના નિર્માણ માટે ભાજપ કટિબધ્ધ છે.  કોંગ્રેસે દેશને ખોખલા વાયદા-ઠાલા વચનો સમસ્યાઓની વણઝાર જ આપી હતી. છેલ્લા પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે કરેલી કામગીરીથી સ્પષ્ટ થયુ છે ત્યારે કોંગ્રેસના ૬૦ વર્ષ સામે નરેન્દ્રભાઈના માત્ર ૬૦ મહિનાના શાસનમાં શું તફાવત છે તે દેશની જનતાએ અનુભવ્યું છે. અગાઉ યુ.પી.એ.ની મનમોહન સિંહની મૌન સરકારમાં ફક્ત ભ્રષ્ટાચારનું જ આચરણ હતુ. જાતિવાદ, વંશવાદ અને પરિવારવાદનું ઉદ્ભવ સ્થાન એટલે કોંગ્રેસ. તેની સામે પ્રધાનમંત્રી નરેન્દ્રની એનડીએ સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષ ભ્રષ્ટાચાર સામે સીધુ યુધ્ધ છેડીને ભ્રષ્ટાચારમુક્ત ભારતનું ભગિરથ અભિયાન શરૂ કર્યુ છે. આ ઉપરાંત દેશના પ્રત્યેક નાગરિકોને માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી નક્કર પગલાંઓ ભરીને દેશવાસીઓ સમક્ષ ભાજપની સરકારે કટિબધ્ધતા વ્યક્ત કરી છે.

(9:29 pm IST)