Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

અમદાવાદઃ કાર અકસ્માતનું રહસ્યઃ આગથી મોત? કે મોત થયું પછી આગથી ભડથુ થયા?

બે યુવકોને બચાવાયા તો બીજા - ત્રીજાને કેમ નહીં?: અકસ્માતે અનેક રહસ્યો સજર્યાઃ ફાયર બ્રિગેડ માટે કેસ સ્ટડી તો FSL અને પોલીસ માટે રહસ્ય

અમદાવાદ તા. ૯ : ભાડજ અને ઓગણજ સર્કલ વચ્ચે આવેલા બેબી લોન પાસે ગત રાતે અઢી વાગ્યે થયેલા અકસ્માતની ઘટનાએ અનેક રહસ્યો સજર્યા છે. અકસ્માત કેવી રીતે થયો અને મોત કેવી રીતે થયાં? તે સવાલ પોલીસ, એફ.એસ.એલ. અને ફાયર બ્રિગેડના અધિકારીઓને સતાવી રહ્યાં છે.

સૌથી મોટો સવાલ એ છે કે, બે યુવકોને લોકોએ કારના કાચ ફોડીને (ફરિયાદમાં કરાયેલા ઉલ્લેખ આધારે) બહાર કાઢ્યા તો બાકીના ત્રણ યુવકોને કેમ બહાર ન કઢાયાં? એટલું જ નહીં ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ ઠારી ત્યારે ડ્રાઈવર સીટમાં અને તેની બરોબર બાછળ બેઠેલો યુવક કારમાં જાણે જીવતી વ્યકિત આરામથી બેઠી હોય તેમ તેમ તેમના ભડથુ થઈ ગયેલા શરીર પડ્યાં હતા. કારમાં પાછળની સીટમાં વચ્ચે બેઠેલા યુવક સીટમાં જ ઢળી પડ્યો હતો અને માથુ જમણી બાજુના દરવાજા તરફ હતુ.

અકસ્માત બાદ મદદે પહોંચેલી ફાયર બ્રિગેડ અને પોલીસ બન્ને અકસ્માત થવાના કારણને સ્પષ્ટ કરવા પોતાના તર્ક આપી રહ્યાં છે પરંતુ બન્નેમાંથી કોઈની પાસે એ સવાલનો જવાબ નથી કે ત્રણેય યુવકોના મોત આગમાં બળી જવાથી થયાં? કે ટક્કરથી મોત થયા માટે અંદર જ બળીને ભડથુ થયાં?. એટલું જ નહીં પોલીસ અને ફાયર બ્રિગેડ પાસે એ વાતના પણ જવાબ નથી કે લોકોએ કાચ ફોડીને બે યુવકને બચાવ્યાં તો પછી બીજા ત્રણને કેમ બહાર ન કાઢ્યાં?

આ ઉપરાંત તપાસમાં જોડાયેલી ટીમને એ પ્રશ્ન પણ સતાવી રહ્યો છે કે, કાર ડમ્પર સાથે ટકરાયા બાદ જો તેમાંથી કપચી ઢોળાઈ હોય તો તે કારની ઉપર પડવી જોઈએ. જો કે, કપચીના ઢલગા ઉપર કાર ચડી ગયેલી છે! એટલે કે ડમ્પર ચાલકે ફુલ સ્પિડમાં ટર્ન લીધો ત્યારે તેની ટ્રોલીમાંથી કપચી ઢોળાઈ અને પાછળ આવતી કાર કપચીના ઢગલા અને ડમ્પર વચ્ચે રસ્તો ન રહેતા ટકરાઈ?

અકસ્માત સર્જાયો અને તેમાં ત્રણ જુવાનજોધ યુવકો હોમાઈ ગયા તે વાત નક્કી છે પરંતુ ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે, યોગ્ય તપાસ થાય તો આ કેસ ફાયર બ્રિગેડ માટે કેસ સ્ટડી છે. જેના કારણે ભવિષ્યમાં લોકોને બચાવવામાં મદદરૂપ થઈ શકાય. બીજી તરફ પોલીસ અને એફ.એસ.એલ. પી.એમ રીપોર્ટ આવ્યા પછી અને સાયન્ટીફિક તપાસના અંતે જ સ્થિતિ સ્પષ્ટ થશે તેમ જણાવી રહ્યાં છે.

ભાડજ ખાતે ગુરુવારે વહેલી પરોઢે બનેલી ગમખ્વાર અને કરુણાંતિકામાં માર્યા ગયેલા ત્રણ આશાસ્પદ યુવાનો પૈકી બે તો વર્તમાન વિધાનસભાના સભ્યોના પરિજનોના જ નજીકના પરિચિતો છે. રાહુલ રામભાઇ બારડ એ સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડના ભાઇ રામભાઇના પુત્ર છે જયારે ધૈર્ય સ્નેહલભાઇ પટેલ એ નારણપુરાના ધારાસભ્ય અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલના પુત્રના પિતરાઇ સાળા થાય છે. આ તમામ મિત્રો એક મોટરકારમાં જઇ રહ્યા હતા ત્યારે સર્જાયેલા અકસ્માતમાં લાગેલી આકસ્મિક આગમાં ભડથુ થઇ ગયા હતા.

જાણકારો કહે છે કે, પાંચેય મિત્રો ફોકસ વેગન કારમાં ભાડજ રિંગ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આગળના વાહને બ્રેક મારતાં પાછળ મોટરકાર ઘડાકાભેર અથડાઇ હતી. અકસ્માત થયાનું આસપાસના ગ્રામજનોને માલુમ પડતાં તેઓ રોડ ઉપર દોડી આવ્યા હતા. તેમણે આગળના દરવાજા ખોલીને બે ધવાયેલા યુવાનોને બહાર કાઢ્યા હતા. પરંતુ ગાડીના સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમમાં ખરાબી થવાથી પાછળનો દરવાજો ખોલવા માટે મથામણ ચાલતી હતી ત્યારે જ મોટરકારમાં ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. આને લીધે ગ્રામજનોએ બે ઘવાયેલા યુવાનોને તાબડતોબ ત્યાંથી દૂર લઇ જવાની પરોજણમાં પડ્યા હતા.

બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલા યુવાનોને બહાર કાઢવાના પ્રયાસો થાય એ પહેલાં જ સમગ્ર કાર આગમાં લપેટાઇ ગઇ હતી. અહીં નોંધવુ જરૂરી છે ભગવાનભાઈ બારડના ભાઈ અને પૂર્વ ધારાસભ્ય સ્વ. જશુભાઈ બારડના પુત્રને પણ આવી જ કરૂણાંતીકા ભરખી ગઈ હતી. તેમનો પુત્ર ગોવાના દરિયામાં તણાઈ ગયો હતો.(૨૧.૨૦)

(12:26 pm IST)