Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

નડિયાદ પંથકમાં બે માર્ગ અકસ્માતમાં ત્રણને ઇજા

નડિયાદ: તાલુકાના પીપળાતા ગામમાં તેમજ નડિયાદ-ડાકોર માર્ગ પર આવેલ એક્સપ્રેસ-વે ઓવરબ્રિજ પર ગતરોજ સર્જાયેલા જુદા-જુદા બે માર્ગ અકસ્માતોમાં ત્રણ વ્યક્તિઓ ઈજાઓ થવા પામતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે જે તે પોલીસે ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના પીપળાતામાં રહેતાં રાજીવભાઈ શકરાભાઈ પરમાર ગતરોજ બપોરના સમયે ગામમાં આવેલ બેંક ઓફ ઈન્ડિયા નજીક માર્ગ પર ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલ એક મોટરસાઈકલ નં જીજે ૦૭ બીએસ ૯૪૫૨ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં બેકાબુ બનેલ મોટરસાઈકલ માર્ગ પર ચાલતાં જતાં રાજીવભાઈ સાથે ટકરાતા તેમને ઈજાઓ થવા પામી હતી. જ્યારે અકસ્માત નો બીજો બનાવ નડિયાદ-ડાકોર માર્ગ પર આવેલ એક્સપ્રેસ વે ઓવરબ્રીજ પર અમદાવાદથી નડિયાદ તરફ બહાર નીકળવાના રસ્તે સર્જાયો હતો. જેમાં ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં રહેતાં કિરણકુમાર શકરાજી ઠાકોર પોતાની મોટરસાઈકલ લઈ પસાર થઈ રહ્યાં હતા. તે દરમિયાન પાછળથી આવી રહેલ મોટરસાઈકલ નં જીજે ૦૭ બીએસ ૭૦૦૦ ના ચાલકે પોતાનું મોટરસાઈકલ પુરપાટ હંકારી આગળ જતાં કિરણકુમારના મોટરસાઈકલને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોટરસાઈકલ કિરણકુમાર તેમજ મોટરસાઈકલ પર સવાર અન્ય એક ઈસમને ઈજાઓ થવા પામી હતી.

 

(4:40 pm IST)