Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

પૈસાની લેતીદેતી મામલે અમદાવાદમાં બે દારૂડિયા મિત્રો બાખડ્યા.

અમદાવાદ:  બાપુનગરમાં દારૃ પીધા બાદ બે મિત્રો વચ્ચે પૈસા બાબતે જોરદાર ઝઘડો થયો હતો. જેમાં બન્નેએ એકબીજા પર ચાકુ અને પથ્થરથી હુમલો કરતા એક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ વિસ્તારમાં દારૃના વેચાણને પગલે સ્થાનિકોએ અનેકવાર પોલીસ સમક્ષ રજુઆત કરી હતી. જોકે પોલીસે આ બાબતને ગંભીરતાથી લેતી નથી.જેને કારણે આ પ્રકારના બનાવો બનતા રહેતા હોવાની સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે.બાપુનગરમાં અનિલ સ્ટાર્સ મિલની પાછળ ક્રિશ્ના કોમ્પલેક્ષ નજીક ૭ ફેબુ્રઆરીના રોજ મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. જેમાં મિલની પાછળ આવેલી રામપ્રસાદની ચાલીમાં રહેતા અશોક મનુભાઈ સોલંકી અને દેવજી ડાહ્યાભાઈ મકવાણા સાથે બેસીને દારૃ પી રહ્યા હતા.  અશોકે દેવજીને ઉછીના પૈસા આપ્યા હતા જે તેણે પાછા માંગતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો.  જેમાં ઉશ્કેરાયેલા દેવજીએ અશોક પર ચાકુથી હુમલો કરીને આડેધડ વાર કર્યા હતા.આથી અશોકે બાજુમાં પડેલો પથ્થર દેવજીના માથામાં મારી દીધો હતો. જેમાં ગંભીર ઈજાને કારણે દેવજી મકવાણાનું મોત નીપજ્યું હતું. જ્યારે અશોકને સારવાર અર્થે શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે ધનજીભાઈ ઉકાભાઈ મકવાણાએ અશોક સામે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે અશોકે પણ સામી ફરિયાદ નોંધાવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

(4:27 pm IST)