Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ગુજરાતમાં સ્વાઈન ફ્લુથી વધુ આઠના મોત નિપજ્યા

સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૧૧૦૦થી વધુ : સ્વાઈન ફ્લુથીગ્રસ્ત સેંકડો દર્દીઓ હજુય સારવાર હેઠળ સિઝનલ ફ્લુને રોકવાના તમામ પ્રયાસ છતાં કેસો વધ્યા

અમદાવાદ,તા. ૮ : ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળોકેર આજે યથાવતરીતે જારી રહ્યો હતો. સ્વાઈન ફ્લુના કારણે આજે એક જ દિવસમાં આઠ લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આની સાથે જ સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો વધીને ૫૯ ઉપર પહોંચી ગયો છે. સ્વાઈન ફ્લુના આજે પમ અનેક નવા કેસો સપાટી ઉપર આવ્યા હતા. વર્ષ ૨૦૧૯માં જાન્યુઆરી બાદથી હજુ સુધી રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા ૧૧૨૫થી પણ ઉપર પહોંચી ગઈ છે જ્યારે સ્વસ્થ થઇને ઘરે પરત ફરેલા દર્દીઓની સંખ્યા ૬૫૦ જેટલી નોંધાઈ છે. સ્વાઈન ફ્લુની અસર થયા બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા હાલમાં ૪૦૦ની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. આજના આંકડાને ધ્યાનમાં ન લેવામાં આવે તો પણ સ્વાઈન ફ્લુનો સૌથી વધારે પ્રકોપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોવા મળ્યો છે જ્યાં જાન્યુઆરી મહિનામાં આ રોગથી ગ્રસ્ત લોકોની સંખ્યા ૨૧૩ ઉપર પહોંચી હતી. ફેબ્રુઆરી મહિનાના એક જ સપ્તાહના ગાળામાં આ સંખ્યા ૧૩૪થી પણ ઉપર પહોંચી ગઈ છે. જાન્યુઆરીથી લઇને હજુ સુધી અમદાવાદમાં છના મોત થઇ ચુક્યા છે જ્યારે ચાર લોકોના મોત તો એક સપ્તાહના ગાળામાં જ થયા છે. આજે સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત લોકોના જે વિસ્તારમાં મોત થયા હતા તેમાં અમરેલીમાં બેના મોત થયા હતા. રાજકોટમાં એક પુરુષનું મોત થયું હતું. ઉપલેટામાં પણ એકનું મોત થયું હતું. ભાવનગર અને રાજકોટમાં પણ એક  એક વ્યક્તિના મોત થયા છે. સ્વાઈન ફ્લુને કાબૂમાં લેવા માટે તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.  વડોદરા અને અમદાવાદમાં સ્વાઈનફ્લૂનો આતંક વધારે દેખાઈ રહ્યો છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોસ્પિટલમાં કરવામાં આવી છે. ગયા વર્ષે સ્વાઈન ફ્લૂના મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. તંત્ર દ્વારા આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા. દેશના સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત સૌથી વધારે આંકડા ધરાવતા રાજ્યોમાં ગુજરાત પણ સામેલ રહ્યું હતું. રાજસ્થાન સહિતના રાજ્યોમાં સ્વાઈન ફ્લૂના કેસો સપાટી પર આવી ચુક્યા છે. અમદાવાદ સહિત રાજ્યમાં સ્વાઈન ફ્લુના કારણે ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લુના મોત ૨૦૧૯માં દેશમાં ત્રીજા સૌથી વધુ થયા છે. આજે નવા કેસો સપાટી ઉપર આવતા કેસોની સંખ્યા વધીને ૧૧૨૫થી વધુ પહોંચી ગઈ હતી.  નવા વર્ષમાં મોતનો આંકડો રોકેટગતિએ વધતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.  અમદાવાદમાં સૌથી વધારે સ્વાઈન ફ્લુના કેસ સપાટી ઉપર આવી રહ્યા છે. ઉપરાંત સુરત, વડોદરા, જુનાગઢ મનપામાં પણ કેસ સપાટી ઉપર આવ્યા છે. આ વર્ષે રાજ્યમાં સ્વાઈન ફ્લુના દર્દીઓની સંખ્યા રેકોર્ડ સપાટી ઉપર પહોંચી ચુકી છે. બિનસત્તાવારરીતે આંકડો ૧૨૦૦થી ઉપર છે.

સ્વાઈન ફ્લૂનો આતંક...

અમદાવાદ, તા.૮ : ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો આતંક વધી રહ્યો છે. દરરોજ નવા નવા લોકો સ્વાઈન ફ્લૂના સકંજામાં આવી રહ્યા છે. આજે વધુ ૮ લોકોના સ્વાઈન ફ્લૂના કારણે મોત થતા ખળભળાટ મચી ગયો હતો.  કિલર બનેલા સ્વાઈન ફ્લુના કારણે લોકોમાં પણ દહેશત છે. નવા વર્ષમાં સ્વાઈન ફ્લૂનું ચિત્ર નીચે મુજબ છે.

સ્વાઈન ફ્લૂના કુલ કેસ...................... ૧૧૨૫થી વધુ

સ્વાઈન ફ્લૂથી મોત............................... ૫૯થી વધુ

સારવાર હેઠળ લોકો............................. ૪૦૦થી વધુ

સ્વસ્થ થયેલા લોકો.............................. ૬૫૦થી વધુ

૨૪ કલાકમાં મોત............................................. ૦૮

 

 

(8:08 pm IST)