Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંગમ ખાતે પવિત્ર સ્નાન પણ કર્યું

ઐતિહાસિક વડની મુલાકાત લઇ આશીર્વાદ લીધા : પ્રાયાગરાજ કુંભમેળો સામાજિક સમરસતાનું પ્રતિક છે ગુજરાત અને ભારત વિકાસ રાહે આગળ વધે તેવી પ્રાર્થના

અમદાવાદ,તા.૮ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પત્નિની સાથે સંગમમાં સ્નાન કરીને અક્ષયવટ અને હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા. રૂપાણી ગુજરાતની રાત કુંભમેળા ક્ષેત્રમાં પહોંચ્યા હતા. કુંભનગર સ્થિત ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ કર્યા બાદ આજે પોતાના પત્નિ સાથે સંગમમાં સ્નાન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પવિત્ર કુંભસ્નાન ગંગા મૈયામાં ડુબકી લગાવીને કર્યું હતું. તેમણે આ કુંભમેળામાં સ્નાન કર્યા બાદ જણાવ્યું કે ગંગા મૈયા સમક્ષ દેશ અને રાજ્યની ઉન્નતિ, સૌના સાથ – સૌના વિકાસની મંગલકામનાઓ વાંચ્છી છે. વિજય રૂપાણીએ ગુજરાત વિકાસમાર્ગે ઉન્નત પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે હિન્દુ સંસ્કૃતિમાં આ પવિત્ર કુંભ એ સામાજિક સમરસતાનું એક આગવું પ્રતિક છે. કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાપૂર્વક મેળાનો લાભ લેવા અને પવિત્ર સ્નાન માટે આવે છે. તે અર્થમાં આ મેળો ભારતની એકતા-અખંડિતતાનું પ્રતિક પણ છે એમ તેમણે ઉમેર્યું હતું. વિજય રૂપાણીએ આટલા વિશાળ આયોજનમાં સ્વચ્છતા, સુરક્ષા અને કોઇ પણ જાતની કચાશ ન રહે તેની સંપૂર્ણ કાળજી લઇ એડવાન્સ પ્લાનિંગ – માઇક્રો પ્લાનિંગ માટે ઉત્તર પ્રદેશ સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અભિનંદન પાઠવ્યા હતાં. મુખ્યમંત્રીએ કુંભમેળામાં સ્નાન પૂર્વે અખિલ ભારતીય પંચ નિર્મોહી અનિ અખાડાના સંતવર્યોની તેમજ પ્રયાગરાજના પવિત્ર ઐતિહાસિક વડની પણ મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્યાં હતાં અને દર્શન કર્યા હતાં. રૂપાણી શ્રીકાશીવિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટની ડિઝાઇન અને મોડલ પણ જોવા માટે પહોંચ્યા હતા. પોતાના પત્નિ અંજલિબેન અને પ્રવાસી ભારતીય મિત્ર ચંદ્રકાંત શુક્લાની સાથે કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. બાબાના દર્શન કર્યા હતા. પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. કમિશનર દિપક અગ્રવાલ અને પરામર્શ કંપનીના અધિકારીઓએ તેમને કોરિડોરની ડિઝાઇન દર્શાવી હતી. સાંજની આરતીમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક મંત્રોચ્ચારથી ગંગા આરતી કરી હતી.

 

(8:07 pm IST)