Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ભાજપાના શાસનમાં ભયનું રાજ છે : ધાનાણીની પ્રતિક્રિયા

તટસ્થ તપાસ થશે તો અનેક નામો ખુલશેઃ ન્યાયાપાલિકા પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે : દેર સહી, અંધેર નહીં એ વાતનો સુપ્રીમમાં પુનરોચ્ચાર થયો : ધાનાણી

અમદાવાદ,તા. ૮: ગઇકાલે રાત્રે ભાજપના પૂર્વ ધારાસભ્ય જ્યંતિભાઈ ભાનુશાળીની થયેલી હત્યા સંબંધમાં પત્રકાર તથા મિડિયાના મિત્રો સાથે વાત કરતા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં ભયનું રાજ છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની વાતો કરનાર ભાજપ અને તેના મોટા માથાઓએ કચ્છના રણમાં ખાધેલ મીઠી ખારેકના રહસ્યોને છુપાવવા માટે એક રાજકીય કાર્યકર્તા, પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાળીનો ભોગ લીધો છે. ૨૦૧૪ની ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં શાંતિની દુહાઈ દેનાર વડાપ્રધાન મોદીના ગૃહ રાજ્યમાં ભાજપના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ, કચ્છના પૂર્વ ધારાસભ્યની ચાલુ ટ્રેને પોઇન્ટ બ્લેંક રેંજથી ગોળી મારીને એક રાજકીય સામાજિક કાર્યકરની હત્યાથી ગુજરાતનો ઇતિહાસ દોહરાયો છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની રાજકીય હત્યાથી શરૂ થયેલી ભયની રાજનીતિ જ્યંતિભાઈ ભાનુશાળીના ચાલુ ટ્રેને થયેલી હત્યા સુધી પહોંચી છે. સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. સામાન્ય માણસ ભયના ઓથાર હેઠળ જીવન વ્યતિત કરી રહ્યો છે. લોકશાહી મરી પરવારી છે ત્યારે કચ્છની મીઠી ખારેક ખાનાર કેટલાય ભાજપના મોટા માથાઓના રહસ્યોને ધરબાવવા માટે પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાળીના લમણે બંદૂક તાકવામાં આવી હોય તેવી પૂરી શક્યતા છે. આ અંગે તટસ્થ તપાસ થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. સીબીઆઈ અંગેના નામદાર સુપ્રીમ કોર્ટે આજે આપેલા ચુકાદાને આવકારતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આ દેશની ન્યાયપાલિકા ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ છે. દેર સહી, અંધેર નહીં એ વાતનો સુપ્રીમ કોર્ટમાં પુનરોચ્ચાર થયો હતો. સત્તામાં બેઠેલા લોકોએ સતતદખલગીરી કરીને સત્યને છુપાવવાનો પ્રયાસ કર્યો છે જે સંવિધાનિક સંસ્થાઓ છે એમાં સત્તામા ંબેઠેલા લોકોઓ સીધી દખલગીરીથી વિપક્ષના અવાજને રૃંધવાનો પ્રયાસ કર્યો છે. કમનસીબે એમના પાસા હવે ઊંધા પડી રહ્યા છે. સત્ય છાપરે ચઢીને પોકારી રહ્યું છેે અને સીબીઆઈમાં સત્યને છુપાવવા માટે એક સારા ઓફિસરની રાતોરાત કરવામાં આવેલ બદલીના ઓર્ડરને નામદાર સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે. લોકરકષક દળની પુનઃ લેવાયેલી પરીક્ષા અંગે વાત કરતા પરેશ ધાનાણીએ  જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં લોકશાહી મરી પરિવારી છે.

(9:54 pm IST)