Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

સુરતના વરાછામાં સાસરિયાના ત્રાસથી કંટાળી બે પરિણીતાએ ફાસો ખાઈ જીવન ટુંકાવતા સાસરિયા વિરુદ્ધ આત્મહત્યાનો ગુનો દાખલ

સુરત: શહેરના વરાછા અને કાપોદ્રા વિસ્તારની બે યુવાન પરિણીતાએ સાસરીયાઓના ત્રાસથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે તેમના સાસરીયાઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા અભયનગર ઘર નં.286 ના બીજા માળે રહેતા ગોપાલભાઈ ગોવિંદભાઇ પરમારની પત્ની કાજલ ( ઉ.વ.26 ) એ ગત 25 નવેમ્બરની સાંજે પોતાના ઘરમાં લોખંડના પાઇપ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. છ વર્ષના લગ્નજીવનમાં પાંચ વર્ષીય પુત્રની માતા બનેલી કાજલને તેના પતિ અને સાસુ મંજુબેન ( રહે. બુટભવાની સોસાયટી, પુણા ગામ, સુરત ) શારીરીક તથા માનસીક ત્રાસ આપી ગાળો બોલી મારપીટ કરતા હતા. તેમજ પતિ તેને બાળક સાથે એકલી મૂકી માતાના ઘરે ચાલ્યો જતો હતો. પતિ અને સાસુના ત્રાસને લીધે કાજલે આત્મહત્યા કરી લેતા આ અંગે ગતરોજ તેના ભાઈએ વરાછા પોલીસ મથકમાં બંને વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. વધુ તપાસ પીએસઆઈ કરી રહ્યા છે.

(5:30 pm IST)