Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

ખેડૂતોના કાલના બંધને રાજ્યના ૧૭ સંગઠનનો ટેકો

રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો : રાજ્યમાં પણ ખેડૂતો દ્વારા બંધની અસરની સંભાવના જોતા પોલીસ અને ઈન્ટેલિજન્સ સ્ટાફ એક્ટિવ થઈ ગયો

અમદાવાદ, તા.૭ : કૃષિ કાયદાની સામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં હવે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. ખેડૂતોના સાથ આપવા માટે સેલિબ્રિટીથી લઈને રાજકીય નેતાઓ અને વિવિધ સંગઠનો પણ જોડાઈ રહ્યા છે. આવામાં આવતીકાલે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ ગુજરાતના ૧૭ ખેડૂત સંગઠનોએ પણ ટેકો જાહેર કર્યો છે, એટલે કે આવતીકાલે ગુજરાતમાં પણ બંધની અસર જોવા મળી શકે છે. બીજી તરફ પોલીસ અને ઈન્ટેલિજન્સ સ્ટાફ પણ એક્ટિવ થઈ ગયો હોવાની ચર્ચા છે.

૮મી તારીખ એટલે કે આવતીકાલે ખેડૂતો દ્વારા આખા ભારતમાં બંધના એલાનની જાહેરાત કરવામાં આવી છે. આવામાં હાઈવે પર ચક્કાજામ કરવાનો અને દેખાવો કરવાના વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. આ સાથે કોંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષો દ્વારા પણ બંધને સમર્થન આપવામાં આવ્યું છે, જેની અસર પણ ગુજરાતમાં જોવા મળી શકે છે.

એક તરફ ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના વકર્યા બાદ રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદ સહિત સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. જો આવામાં દિલ્હીની જેમ ગુજરાતમાં ખેડૂતો પોતાનો જુ્સ્સો બતાવે તો સ્થિતિ ફરી વણસી શકે છે અને રુપાણી સરકારની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આવામાં ખેડૂતોના બંધના એલાનને ધ્યાનમાં રાખીને પોલીસ સહિત રાજ્યની મહત્વની એજન્સીઓને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી હોવાની ચર્ચાઓ શરુ ગઈ છે.

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો સાથે બેઠક કરવામાં આવી પરંતુ તેમાં કોઈ સમાધાન આવ્યું નથી. આવામાં ખેડૂતો પણ કૃષિ કાયદાને રદ કરવાની હઠ લઈને બેઠા છે તેવામાં હાલ એ પણ દેખાય છે કે સરકાર પણ ઝુકવા માટે તૈયાર નથી. આજે પણ ખેડૂતો આક્રામક મૂડમાં દેખાઈ રહ્યા છે.

આજે અખિલેશ યાદવ પણ ખેડૂતોના સમર્થનમાં મેદાનમાં ઉતર્યા હતા જેમને ઘેરીને નજરબંધ કર્યા હતા. આમ છતાં તેઓ તમામ સમર્થકો સાથે કન્નોજ તરફ આગળ ચાલતા રહ્યા. પોલીસે તેમને આગળ વધતા રોક્યા તો તેઓ ધરણા પર બેસી ગયા. સમર્થકોની ભીડ જોઈને પોલીસે તેમની અટકાયત કરી લીધી. નોંધનીય છે કે, જરુરી સેવાઓને છોડીને લગભગ તમામ જગ્યાઓ પર બંધની અસર જોવા મળવાની સંભાવના છે. ખેડૂત સંગઠનોએ દિલ્હીની સરહદો પર કબ્જો કરી લીધો છે. આવતીકાલે દેશભરમાં ચક્કાજામની તૈયારી છે. રેલવે સેવાઓને પણ અસર થઈ શકે છે. કૃષિ આધારિત વિસ્તારોમાં બંધની વ્યાપક અસર જોવા મળી શકે છે. બજારથી લઈને સામાન્ય જનજીવન પર ખરાબ અસર પડવાની સંભાવના છે. રસ્તા જામ થવાથી સપ્લાય ચેઈન અને ટ્રાન્સપોર્ટ સર્વિસિઝની કમર તૂટી શકે છે. રાજકીય દળો પણ ભારત બંધના સમર્થનમાં ઉતરી છે તો તેની અસર વધુ થઈ શકે છે. ઈમર્જન્સી અને જરુરી સેવાને બંધ દરમિયાન ખુલ્લા રાખવાની વાત સંગઠને કરી છે.

(9:08 pm IST)