Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

૭મી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉપલક્ષ્યમાં ગાંધીનગરમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો

ગાંધીનગર,તા.૭ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ૭ ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી દેશ ની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આપણાં દેશના સીમાડે સતત ખડેપગે રહીને સરહદ પારની ઘૂસણખોરી અને નાપાક હરકતોનો જડબા તોડ જવાબ આપી  માભોમની રક્ષા કરવા ઉપરાંત આંતરિક સલામતિ સુરક્ષા આપણાં સશસ્ત્ર દળોના જવાનો નિભાવે છે. દેશમાં કુદરતી કે માનવ સર્જિત આપત્તિ  પૂર વાવાઝોડું ભૂકંપ કે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં  પણ સ્થાનિક પ્રશાસનને મદદરૂપ થતા આ સેનાનીઓ અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ ફરજ પરસ્ત જવાનોના અને દેશ માટે સમર્પિત થઈ પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ હેતુથી આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક  ફાળો દાન અર્પણ કરી તેમની સેવાઓ નો ઋણ સ્વીકાર કરે છે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આપણાં અડીખમ યોદ્ધાઓ અને વીર સેનાનીઓ પ્રત્યે આદર ભાવ પ્રગટ કરવા અને તેમના કલ્યાણ માટે ઉદાર હાથે સૌ નાગરિકો સશસ્ત્ર સેના ધ્વજ દિવસે  ફાળો આપે તેવી અપિલ પણ કરી હતી. મુખ્યમંત્રીએ આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉપલક્ષ્યમાં  ગાંધીનગર માં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. આ વેળા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, સૈનિક કલ્યાણ બોર્ડના નિયામક નિવૃત કમાંડર શશિકુમાર ગુપ્તા, નાયબ નિયામક પી એચ ચૌધરી તેમજ ગુજરાત પ્રદેશના ડિફેન્સ પી આર ઓ, એરફોર્સના અધિકારીઓ પણ જોડાયા હતા.

(9:04 pm IST)