Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

લિવ ઇન રિલેશનશીપમાં રહેતા કપલની આત્મહત્યાથી ચકચાર

યુવકના કુટુંબીજનો હેરાન કરતા હોવાનું ખુલ્યું : યુવકના કાકા અને કુટુંબના સભ્યોની સામે ઓઢવ પોલીસે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો નોધ્યો : બનાવને લઇ ચર્ચા

અમદાવાદ, તા.૮ : ઓઢવ વિસ્તારમાં ભાડે મકાન રાખી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા રાજસ્થાનના યુવક અને મહારાષ્ટ્રની યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઓઢવ પોલીસને ઘરમાંથી એક સ્યૂસાઇડનોટ મળી આવી છે. જેમાં મૃતક યુવકના કાકા અને તેમના કુટુંબીજનો આ રિલેશનશીપના કારણે તેને હેરાન પરેશાન કરતા હોવાથી બંનેએ આત્મહત્યા કરી હોવાનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી. જાડેજાએ જણાવ્યું હતું કે, ઘરમાંથી સ્યૂસાઇડ નોટ મળી છે જેના આધારે મૃતક યુવતીના માતા-પિતાને જાણ કરી છે. તેઓની ફરીયાદ લઈ ગુનો નોંધવામાં આવશે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી છોટાલાલની ચાલીના ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં ૨૦ દિવસ પહેલા જ લક્ષ્મણ ચૌધરી અને પુજા તરકેશ નામના યુવક-યુવતી ભાડેથી મકાનમાં રહેવા આવ્યા હતા. લક્ષ્મણ ચૌધરી મૂળ રાજસ્થાનનો વતની હતો અને તે રોજગારી મેળવવા માટે મુંબઈ ગયો હતો. જ્યાં તેને મુંબઈની પુજા તરકેશ નામની યુવતી સાથે પરિચય થયો હતો અને પરિચય કેળવાયા બાદ બંનેએ સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો.

      મુંબઈમાં રાજસ્થાનનો યુવક લક્ષ્મણ ચૌધરી અને મુંબઈની યુવતી પુજાએ સાથે રહેવા માટે લિવ ઈન રિલેશનશીપનો કરાર કર્યો હતો. બંનેએ લગ્ન કરવાના બદલે આ કરાર કરી સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. આ કરાર કર્યા બાદ લક્ષ્મણ અને પુજા બંને અમદાવાદ આવી ગયા હતા. સૌ પ્રથમ બંને નિકોલમાં ભાડે મકાન રાખીને રહેતા હતાં. નિકોલમાંથી ૨૦ દિવસ પહેલા જ તેઓ ઓઢવ ફ્લેટમાં રૂ.૫૦૦૦ના ભાડાથી રહેવા આવ્યા હતાં. થોડા દિવસ થયા હોવાથી પાડોશીઓ સાથે કોઈ પરિચય થયો ન હતો. છેલ્લા બે દિવસથી આ ફ્લેટનો દરવાજા ખુલ્યો ન હતો ગઈકાલે રાત્રે ફ્લેટમાંથી અસહ્ય દુર્ગંધ મારતા આસપાસના લોકો ફ્લેટની બહાર એકત્ર થઈ ગયા હતા અને ઓઢવ પોલીસને જાણ કરી હતી.

પોલીસે ફ્લેટનો બંધ દરવાજા તોડાવ્યો હતો.  રૂમની અંદર યુવતી પૂજાનો મૃતદેહ પલંગ પર પડેલો જાવા મળ્યો હતો જયારે યુવક લક્ષ્મણ ચૌધરીનો મૃતદેહ પંખા પર લટકતી હાલતમાં મળ્યો હતો. ફ્લેટની તલાશી લેતા પોલીસને સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. લિવ ઈન રિલેશનસીપ માટે કરેલો કરાર તથા અન્ય દસ્તાવેજા મળ્યા હતા. જેના આધારે પોલીસે તાત્કાલિક બંનેના પરિવારજનોને જાણ કરી હતી. સ્યૂસાઇડ નોટમાં મૃતક લક્ષ્મણના કાકા અને તેમના કુટુંબીજનો આ રિલેશનશીપ કરારથી રહેતા હતા તેનાથી નારાજ હતા. તેઓ માનસિક રીતે હેરાન કરતા હતા. જેથી બંનેએ આ પગલું ભર્યુ હતું. બંને જણાએ બે દિવસ પહેલા આપઘાત કર્યો હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે હવે સમગ્ર મામલે ગુનો નોંધવાની દિશામાં તજવીજ હાથ ધરી છે.

(8:33 pm IST)