Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

સરદાર બંધમાં આ વખતે ૨૮ ટકા ઓછું પાણી રહ્યું

પીવાના પાણીને લઇને ચિંતાનું મોજુ ફરી વળ્યું: બંધમાં સ્ટોરેજ પાણીનો જથ્થો ખુબ ઓછો રહ્યો

અમદાવાદ, તા. ૮: ગુજરાતની લાઇફલાઈન સમાન ગણાતા સરદાર સરોવર બંધમાં ગયા વર્ષે આજ ગાળાની સરખામણીમાં ૨૮ ટકા ઓછું પાણી છે. આ સરોવરમાં પાણીની સપાટી ૧૧૧ મીટર છે.  આનો મતલબ એ થયો કે, ૯૪૬૦ મિલિયન ક્યુબિક મીટર ક્ષમતા પૈકી ૪૦ ટકા પાણી છે. ગયા વર્ષે એટલે કે ૨૦૧૭માં આ સમયે આંકડો ૫૫ ટકાનો રહ્યો હતો. ૨૦૧૭માં મોનસુન બાદ રાજ્ય સરકારને સિંચાઈ માટે નર્મદા પાણીના સપ્લાયને બંધ કરવાની ફરજ પડી હતી. ડેડ સ્ટોરેજમાંથી પીવાના પાણી માટે પાણીનો ઉપયોગ કરવા બાયપાસ ટનલનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. સરકારે ગઇકાલે જ મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી જેમાં એવી ખાતરી કરવામાં આવી હતી કે, પીવાના પાણીના પુરવઠાને કોઇપણ અસર ન થાય. કમનસીબ બાબત એ છે કે, મધ્યપ્રદેશમાં નર્મદાના ૧૨૦૦ કિમીના કેચમેન્ટ વિસ્તારમાં પુરતો વરસાદ થયો નથી. મહારાષ્ટ્રમાં ઉકાઈ બંધના કેચમેન્ટ વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાનના ધરોઈમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. સરદાર બંધ ઉપરાંત ગુજરાતમાં ૨૦૩ બંધમાં પણ સ્થિતિ સારી નથી. મધ્ય ગુજરાતના સ્ટોરેજ ક્ષમતા સારી રહી છે. અહીં ૫૧ ટકા સ્ટોરેજ છે.

(10:24 pm IST)