Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીનું બલિદાન અમર રહેશે : રાજ્યપાલ

યુનિવર્સિટીમાં પરિસંવાદનું આયોજન

અમદાવાદ,તા.૭ :  સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧૧૯મી જન્મતિથીએ આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલએ ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીને સદ્દગતની છબીને પુષ્પાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે ભારતમાતાના ચરણોમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર આ મહાનતમ વ્યક્તિનું જીવન અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે. તેમણે દેશસેવા, રાષ્ટ્રપ્રેમ અને દેશની એકતા અને અખંડિતતા માટે કરેલું સમર્પણ અને બલિદાન આજીવન યાદ રહેશે. રાજ્યપાલએ ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીને ભાવાંજલિ આપતાં કહ્યું કે, કાશ્મીર ભારતનું અવિભાજય અંગ છે અને તેમના સપના પ્રમાણે ૩૭૦મી કલમ દૂર થાય તેવી દેશની જનતાની ભાવના સાકાર થાય એ દિવસો હવે દૂર નથી. તેમણે જમ્મુ કાશ્મીર માટે સંઘર્ષરત રહેલા સ્વ. મુખરજીની વંદના કરતા એક ભારત શ્રેષ્ઠ ભારત બને તેવી સંકલ્પના પણ વ્યકત કરી હતી. રાજ્યપાલએ વધુમાં ઉમેર્યુ કે, ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ સ્વ. શ્યામાપ્રસાદજીને આ જ સાચી શ્રધ્ધાંજલિ હોઇ શકે. યુનિ.ગ્રંથનિર્માણ બોર્ડના ઉપાધ્યક્ષ ભાવનાબેન દવેએ ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીને ભાવાંજલિ અર્પણ કરીને આઝાદી બાદની ભારતની સ્થિતિ અને ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે શ્યામાપ્રસાદ મુખરજીની કામગીરીની વિગત આપી હતી.

(9:14 pm IST)