Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કઢૈયા ગામના પ્રેમી યુગલે આપઘાત કરી લેતા ચકચાર

નદીમાંથી મૃતદેહ મળી આવ્યા : મૃતક યુવક અને યુવતી એક જ ગામના હતા, મૃતદેહ બહાર કાઢતા બંનેના હાથ એક બીજા સાથે બાંધેલા હતા

લુણાવાડા,તા.મહિસાગરમાં પ્રેમી પંખીડાએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ મહિસાગર નદીમાંથી બંનેના મૃતદેહ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહ બહાર કાઢતા બંનેના હાથ એક બીજા સાથે બાંધેલા હતા. મૃતક બંને એક ગામના હતા અને બંને વચ્ચે પ્રેમ સબંધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના કઢૈયા ગામના પ્રેમી યુગલ ૧૯ વર્ષીય સંગીતા અને ૨૧ વર્ષીય અશોક રાઠોડે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

 બંનેના મૃતદેહ કોઠંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યાં છે. પ્રેમી પંખીડાએ આપઘાત કરી હોવાની વાત વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જણાવી દઈએ કે, પાટણમાં પણ પાંચ દિવસ પહેલા બે બહેનપણીઓએ આપઘાત કરી હોવાની ઘટના સામે આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ શંખેશ્વર તાલિકાના સિપર ગામે રહેતા જગદીશભાઈ અજમલભાઈ જાદવની ભત્રીજી સ્નેહલ જાદવ (૨૧) અને મુબારકપુરા ગામે રહેતી તેની બહેનપણી જયશ્રીબેન ગગજીભાઈ સિંધવ (૨૩) શંખેશ્વર ખાતે ખરીદી કરવા માટે નીકળી હતી પરંતુ મોડી રાત સુધી પર આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન બંનેના મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યા હતા.

(10:16 pm IST)