Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રાણીપ વિસ્તારના વેપારીઓએ ભીખ માગીને આક્રોશ ઠાલવ્યો

સરકારે અમને ભીખ માગતા કરી દીધા : બીયુ પરમિશન ન હોઈ દુકાનો સીલ કરાતા વેપારીઓએ તમામ નિયમોનું પાલન કરવા તૈયારી પણ બતાવી હતી

અમદાવાદ,તા.અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશનના અભાવે સિલિંગ કાર્યવાહી  હાથ ધરી છે. શાહગેરમાં હજારથી વધુ મિલકતો સીલ કરવામાં આવી છે. જેના કારણે વેપારીઓમાં રોષ ફેલાયો છે. ત્યારે રાણીપ વિસ્તારના વેપારીઓએ સીલિંગ કાર્યવાહીના વિરોધમાં હાથમાં વાટકા પકડી કોર્પોરેશન પાસે દુકાનો ખોલવા ભીખ માંગી વિરોધ નોંધાવ્યો.

એક તરફ કોરોના મહામારીના કારણે મંદીનો માર અને બીજીતરફ  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશના અભાવે હાથ ધરેલી કાર્યવાહી. કાર્યવાહીના કારણે અનેક વેપારીઓની મુશ્કેલી વધી છે.

રાણીપમાં દુકાનો સીલ કરવામાં આવતા વેપારીઓ સ્થાનિક ધારાસભ્ય અરવિંદ પટેલને તેમજ સ્થાનિક કાઉન્સિલર્સને રજુઆત પણ કરી ચૂકયા છે. છતાં તેઓની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. તેવા માં હવે વેપારીઓએ વિરોધનો રાહ અપનાવ્યો છે. અગાઉ વેપારીઓ જો દુકાનો ખોલવામાં નહિ આવે તો આંદોલન પર ઉતરવાની ચીમકી આપી ચુક્યા છે.

સ્થાનિક વેપારી હરેશભાઇ સોની જણાવે છે કે, અમે તમામ વેપારીઓ નિયમોનું પાલન કરવા તૈયાર છીએ જેમાં કોર્પોરેશન અમને સમય આપે. કોરોનાના સમયમાં સરકારે કપરો નિર્ણય લીધો છે. હવે અમારે ભીખ મંગવાનો વારો આવ્યો છે. અમારી રજૂઆતો કોઈ સાંભળતું નથી.

સરકાર મુદ્દાનો ઝડપથી ઉકેલ નહિ લાવેતો અમારે ભૂખ હડતાળ પર ઉતરવું પડશે. અન્ય વેપારી જણાવે છે કે, નિયમોને સમજ્યા વગર રીતે સીલ મારી દીધા છે. અમારી બિલ્ડીંગ ૧૯૮૩માં બની હતી તે સમયે બીયુ પરમિશનનો કોઈ કાયદો હતો. હવે તંત્ર બીયુ પરમિશનની માંગ કરે તો અમે ક્યાંથી લાવીએ.

કોર્પોરેશન વચ્ચેનો રસ્તો કાઢી દુકાનો ખોલી દેવી જોઈએ. રાતોરાત આવીને સીલ મારી દીધા છે તે ક્યાંનો ન્યાય. હાલ તો અમને  ભીખ માંગવા મજબુર સરકારે કરી દીધા છેહજુ અમારે ઉગ્ર વિરોધ કે આંદોલન કરવા પડશે.

(10:14 pm IST)