Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે મહિનાથી નહીં યોજાયેલી ભાજપા ધારાસભ્યોની ૧૫મીએ યોજાશે બેઠક : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

આરોગ્યલક્ષી કામગીરી-તાઉ’તે વાવાઝોડા સામેની કામગીરીઓના પ્રેઝન્ટેશન અને આગામી સમયમાં વ્યાપક ફલક ઉપર વેક્સિનેશન વધારવાની કાર્ય યોજના અંગે ચર્ચા-વિચારણા કરાશે

અમદાવાદ :નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની નિયમિત રીતે મળતી બેઠક કોરોના સંક્રમણને કારણે છેલ્લા બે મહિનાથી યોજી શકાઇ નથી. આ બેઠક હવે તા. ૧૫મી જૂન, ૨૦૨૧ના રોજ યોજવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત નાયબ મુખ્યમંત્રી-મંત્રીમંડળના સભ્યઓ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, ભાજપના તમામ ધારાસભ્યઓ, પ્રદેશ મહામંત્રીઓ તેમજ પાર્લામેન્ટ્રી બોર્ડના હોદ્દેદારો ભાગ લેશે.  
 નીતિનભાઇ પટેલે ઉમેર્યું કે, આ બેઠકમાં કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રજા આરોગ્યલક્ષી કામગીરી તેમજ તાઉ’તે વાવાઝોડા દરમિયાનની રાજ્ય સરકારની શ્રેષ્ઠ કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે.
એટલુ જ નહીં, આવનારા સમયમાં ગુજરાતમાં વ્યાપક ફલક ઉપર ખૂબ ઝડપથી વેક્સિનેશનની કામગીરી કરવા અંગેની વિસ્તૃત કાર્ય યોજનાની પણ આ બેઠકમાં ચર્ચા- વિચારણા કરાશે એમ નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓનું પ્રેઝન્ટેશન પણ તા. ૧૫મી જૂને યોજાનારી આ બેઠકમાં કરવામાં આવશે

(8:23 pm IST)