Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

વિનાશક તાઉતે વાવાઝોડાએ રાજ્યમાં સર્જેલી તારાજી-નુકશાનથી પૂર્વવત થવા કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત રૂ. ૯૮૩૬ કરોડની સહાયની જરૂરિયાત માટે ગુજરાતની રજૂઆત

અમદાવાદ :ગુજરાતમાં તાજેતરમાં તા.૧૭મી મેના ત્રાટકેલા વિનાશક વાવાઝોડા તાઉતેથી ઊભી થયેલી પરિસ્થિતી અને નુકશાનીમાંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધા કામો વગેરે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત કુલ રૂ. ૯૮૩૬ કરોડની જરૂરિયાત અંગેનું મેમોરેન્ડમ-આવેદનપત્ર રજૂ કર્યુ છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવોએ મુખ્ય સચિવઅનિલ મુકીમના નેતૃત્વમાં નુકશાની સામે પૂર્વવત સ્થિતી માટે આ કેન્દ્રીય સહાયની જરૂરિયાત અંગે આ આવેદનપત્રમાં વિસ્તારપૂર્વક રજૂઆતો કરી છે.
વાવાઝોડાની ભારે વિનાશક અસરોથી રાજ્યમાં થયેલા કુલ નુકશાન સામે એન.ડી.આર.એફ.ના ધોરણે સહાય કેન્દ્ર સરકાર કરે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે.
આવેદનપત્ર-મેમોરેન્ડમમાં રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી વિવિધ ક્ષેત્રોમાં થયેલા વ્યાપક નૂકશાન સામે ભારત સરકાર પાસે NDRFના ધોરણે રૂ. ૯૮૩૬ કરોડની સહાયની અપેક્ષા વ્યકત કરી છે.
રાજ્ય સરકારે આ સંદર્ભમાં આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધી આવેલા વાવાઝોડા કરતાં આ તાઉતે વાવાઝોડું વિકરાળ અને વિનાશક વાવાઝોડું હતું.
એટલું જ નહિ, ગુજરાત પર ત્રાટકેલા આ વાવાઝોડાની તિવ્રતા એટલી હતી કે, વાવાઝોડાના પાછળના ભાગે પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં મકાનો, આવશ્યક ચીજવસ્તુઓ પાણી, વીજળી, રસ્તા, મોબાઇલ નેટવર્ક જેવી માળખાકીય સુવિધાઓને પણ વ્યાપક નુકશાન પહોચાડયું છે.
રર૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન સાથેના આ તિવ્ર વાવાઝોડાએ બાગાયતી પાકોના વૃક્ષો અને ખેતી પાકોના ઝાડ-વૃક્ષ મૂળ સાથે ઉખેડી નાખ્યા છે. સમગ્ર જનજીવનને પણ અસર પહોચાડી છે. તેમ આ મેમોરેન્ડમમાં ખેતીવાડી-બાગાયતી ક્ષેત્રના નુકશાનમાંથી પૂર્વવત થવા કેન્દ્રીય સહાયની જરૂરિયાત રાજ્ય સરકારને રહેશે તેવી રજુઆત કરતાં જણાવવામાં આવ્યું છે.
  ગુજરાત ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારો અને કચ્છના રણ જેવી ભૌગોલિક વિશેષતા ધરાવતો પ્રદેશ હોવાથી આવા કુદરતી પ્રકોપ જેવા વાવાઝોડાનો ભૂતકાળમાં પણ અનુભવ કરી ચૂકયું છે.
આ તાઉતે વાવાઝોડું રાજ્યમાં પાછલા પ૦ વર્ષમાં આવેલા કોઇ પણ વાવાઝોડાથી વધુ તિવ્ર અને માલ-મિલ્કતને વ્યાપક તારાજી સર્જનારૂં વાવાઝોડું  બની ગયું છે એમ પણ મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં આ અગાઉ ૧૯૭પ, ૧૯૮ર અને ૧૯૯૮ માં જે વાવાઝોડા આવ્યા હતા તે આ વખતના વિનાશકારી તાઉતે વાવાઝોડાની તુલનાએ ઘણી ઓછી તિવ્રતા અને અસર વાળા હતા એમ મેમોરેન્ડમમાં રાજ્યની વાવાઝોડાની સ્તિથીનું વિવરણ કરતાં જણાવવામાં આવેલું છે.
ગુજરાત પર ગત તા.૧૭મી મે એ ત્રાટકેલા આ તાઉતે વાવાઝોડાએ રાજ્યના ર૩ જિલ્લાઓને અસર પહોચાડી છે. સમુદ્ર કિનારેથી રાજ્યમાં પ્રવેશેલું આ વિનાશક વાવાઝોડું  ર૮ કલાક સુધી ગુજરાતને ઘમરોળીને ગુજરાતને ચીરીને રાજસ્થાન તરફ ફંટાયું હતું.
કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલા ગુજરાતના આ મેમોરેન્ડમમાં તાઉતે વાવાઝોડાએ સર્જેલી તારાજીનો ચિતાર પણ આપવામાં આવ્યો છે.
આ સંદર્ભમાં મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું છે કે, આ વાવાઝોડાને પરિણામે માનવ હાનિ-જાનહાનિ, પશુ મૃત્યુ, મિલ્કતોને નુકશાન અને અન્ય મહત્વના ક્ષેત્રોનો કેપિટલ લોસ સૌથી વધુ અસરગ્રસ્ત એવા અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં મોટા પ્રમાણમાં થયો છે.
આ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટા-જાયન્ટ ક્રેઇન ટાવર્સ, વીજળીના થાંભલાઓ, પાકા મકાનો વગેરે મોટી સંખ્યામાં જમીનદોસ્ત થઇ ગયા છે. એટલું જ નહિ, ખેતીવાડી-બાગાયતી પાકોના વૃક્ષો ધરાશાયી થવા, મૂળમાંથી જ ઉખડી જવા જેવા વિનાશથી આ તાઉતે વાવાઝોડાની વિકરાળતાનો ખ્યાલ આવી જાય છે એમ પણ મેમોરેન્ડમમાં રાજ્ય સરકારે જણાવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સતત માર્ગદર્શનમાં સમગ્ર વહિવટીતંત્રએ આગોતરી અગમચેતી, સમયસરના રક્ષણાત્મક પગલાંઓ, લોકોનું સલામત સ્થળે સ્થળાંતર વગેરે યુદ્ધના ધોરણે હાથ ધરતાં અને જનજાગૃતનો સહયોગ મળતાં આ વાવાઝોડાથી માનવ મૃત્યુનું પ્રમાણ મહદઅંશે નિવારી શકાયું છે તેમ પણ આ મેમોરેન્ડમમાં રાજ્ય સરકારે વાવાઝોડાની સામે પૂર્વતૈયારીઓ અને દાખવેલી સતર્કતાની વિગતો આપતાં જણાવ્યું છે.  
રાજ્યમાં હવાઈપટ્ટીઓ, વીજ, સિંચાઈ અને જળ વિતરણ સહિતના આંતરમાળખાને ભારે નુકસાન પહોંચ્યું છે. કૃષિ અને પાક વાવેતરમાં પણ મોટું નુકસાન થયું છે અને અસરગ્રસ્ત વિવિધ જિલ્લાઓમાં પશુધનની મોટાપાયે જાનહાનિ થવા પામી છે. પશુપાલન સબંધિત પ્રવૃત્તિઓને ભારે ફટકો પડ્યો છે. એમ પણ આ મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું છે.
કેન્દ્રીય સહાય માટે કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્ય સરકારે રજુ કરેલા આ મેમોરેન્ડમમાં જુદા-જુદા સેક્ટરમાં જે નુકસાન થયું છે તેની પણ વિસ્તૃત વિગતો આ અહેવાલમાં રજુ કરવામાં આવી છે તે અનુસાર, કૃષિ અને બાગાયતી વિભાગ, ઊર્જા વિભાગ, ઉદ્યોગ વિભાગ, મેરિટાઇમ બોર્ડ, પંચાયત, પાણી પુરવઠો, માર્ગ-મકાન, મત્સ્યોદ્યોગ, વન, શહેરી વિકાસ, શિક્ષણ વગેરે વિભાગોના નુકશાન મળીને કુલ ૯૮૩૬ કરોડ રૂપિયાની આ નુકશાનમાંથી પૂર્વવત થવા ગુજરાતને જરૂરિયાત હોવાના અંદાજો કેન્દ્ર સમક્ષના આવેદનપત્રમાં આપવામાં આવ્યા છે.
આ સહાય ભારત સરકાર NDRFમાંથી ગુજરાતને ફાળવે તેવી આગ્રહભરી વિનંતી પણ કરવામાં આવી છે.એટલું જ નહિ, રાજ્ય સરકારે SDRF માટે પણ રૂ. પ૦૦ કરોડની વધારાની સહાયની માંગણી કરી છે.

(7:22 pm IST)