Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 551 દર્દીઓની સર્જરી : 14 લોકોએ આંખ ગુમાવી

છેલ્લા બે મહિનામાં 984 મ્યુકરમાઇકોસીસના દર્દીઓએ સારવાર મેળવી

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 67 દિવસમાં 984 મ્યુકરમાઇકોસીસના દર્દીઓએ સારવાર મેળવી છે. જેમાંથી 551 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. ગુજરાત સરકારે મ્યુકરમાઇકોસીસ (બ્લેક ફંગસ)ને મહામારી જાહેર કરી છે. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસની સારવાર માટે અલાયદા વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા મ્યુકરમાઇકોસીસની સારવારમાં ઉપયોગી એવા એમ્ફોટેરીસીન (લાયોફિલાઇઝ) ઇન્જેકશનનું વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત આ ઇન્જેક્શન અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓને પણ નક્કી કરેલી પ્રક્રિયા દ્વારા પુરા પાડવામાં આવે છે.

 

મ્યુકરમાઇકોસીસની સારવારમાં ઉપયોગી અન્ય ઇન્જેકશન એવા લાયફોસોમેલ એમ્ફોટેરેસીન ઇન્જેકશનના વિતરણ માટે પણ પાંચ નિષ્ણાંત તબીબોની કમીટી બનાવવામાં આવી છે, જે દર્દીની શારિરીક જરૂરિયાત અને બ્લડ રીપોર્ટના માપદંડોના આધારે આ ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવે છે.

જે દર્દીના બ્લડ રીપોર્ટસમાં સીરમ અને ક્રિએટીનીનનું સ્તર વધુ હોય, મ્યુકરની ફંગસ(ફુગ) મગજ સુધી પહોંચી હોય, દર્દી એક કિડની પર જ નિર્ભર હોય, નેફ્રોલોજીસ્ટની ભલામણ હોય, તેવા મ્યુકરમાઇકોસીસના દર્દીને જ આ કમિટી દ્વારા આ ઇન્જેકશન આપવાનું નક્કી કરવામાં આવે છે.

(9:02 pm IST)