Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

અમદાવાદ શહેર-ગ્રામ્ય માટે ૨૮ હજારથી વધુ અરજીઓ

આરટીઇ હેઠળ પ્રવેશ માટે રેકોર્ડબ્રેક અરજીઓ :પૂર્ણ થઇ ચુકેલી ચકાસણીમાં ૧૪૪૦ ફોર્મ અમાન્ય ઠર્યા રાજયભરમાં ૧.૮૦ લાખ ફોર્મ ભરવામાં આવી ચુક્યા

અમદાવાદ,તા. ૮ :અમદાવાદ સહિત રાજ્યભરમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (આરટીઈ) હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ અને વંચિત જૂથનાં બાળકોની એડમીશન પ્રક્રિયા ચાલી રહી છે. આજે વાલીઓ માટે ઓનલાઈન આરટીઈ હેઠળ તેમના બાળકોને પ્રવેશ અપાવવા માટેનો આજે છેલ્લો દિવસ હતો. આમ તો, આરટીઇ હેઠળ પ્રવેશની મુદત તા.૫મી મે હતી પરંતુ સર્વર ડાઉનની અનેક ફરિયાદોના પગલે વાલીઓ ફોર્મ ભરી શકયા ન હોઈ સરકારના સત્તાવાળાઓ દ્વારા તા.૮મી મે સુધીની મુદત લંબાવવામાં હતી. અમદાવાદ શહેર અને ગ્રામ્યની શાળાઓમાં આરટીઇ હેઠળ પ્રવેશ માટે ૧૯ હજાર બેઠકો સામે ગઇકાલ સુધી ૨૮ હજારથી વધુ ફોર્મ ભરાયાં છે. જે આજે છેલ્લા દિવસે થોડા વધે તેવી શકયતા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આરટીઈ હેઠળ ખાનગી શાળાઓમાં પોતાનાં સંતાનોના પ્રવેશ મેળવવા ઈચ્છતા અરજદારો આજે ઓનલાઈન અરજી કર્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ સાથેની અરજી તા.૯મી મે સુધીમાં શહેરના કોઈપણ રિસિવિંગ સેન્ટરમાં જમા કરાવી શકશે. આરટીઈ હેઠળ ખાનગી શાળાઓમાં એડમીશન માટે આ વર્ષે રેકોર્ડબ્રેક અરજીઓ આવી છે. ગઈકાલ સુધીમાં ૨૮ હજારથી વધુ અરજીઓ આવી હતી. જેની ચકાસણીઓ પૂરી થઈ ચૂકી છે. જેમાં ૧૪૪૦ જેટલી અરજીઓ અમાન્ય ઠેરવવામાં આવી છે. આજે બાકી રહેતા અરજદારોએ આજે સાંજ પાંચ વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. જેની પણ વહેલીતકે ચકાસણી પૂર્ણ કરી દેવાશે. રાજ્યભરમાં આરટીઈ હેઠળ એક લાખથી વધુ ફોર્મ ભરાયાં છે. ગત વર્ષની તુલનાએ ૫૬ હજારથી વધુ ફોર્મ ભરાયાં છે. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ગત તા.૧૯ એપ્રિલથી આરટીઈ હેઠળ એડમીશન પ્રક્રિયા શરૂ થઈ હતી. અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે ૧૦ હજાર જેટલી અરજીઓ આવતી હોય છે. રાજ્યભરમાં ૧ લાખ ૮૦ હજાર જેટલા ફોર્મ ભરાયાં છે, તેમાંય હજુ ૧૦ ટકાથી વધુ ફોર્મ રિસિવિંગ સેન્ટર પર જમા થવાના બાકી છે. અમદાવાદ શહેરમાં ૪૧ રિસિવિંગ સેન્ટર હોવાનું જણાવાઈ રહ્યું છે. પરંતુ અમુક સેન્ટરોમાં રિસિવિંગ સેન્ટર ન ખૂલ્યાં હોવાની ફરિયાદો સાથેવાલીઓ ૫થી ૧૦ કિલોમીટર દૂર ફોર્મ સબમિટ કરાવવા જઈ રહ્યા હોવાની વિગતો સામે આળી રહી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યના મળીને કુલ ૧૯ હજાર બાળકોને આરટીઈ હેઠળ પ્રવેશ અપાશે. શહેર અને ગ્રામ્ય ગુજરાતી માધ્યમની ૪૪૦, હિન્દીની ૮૦, અંગ્રેજીની ૨૫૫ અને ઉર્દુ માધ્યમની ત્રણ તેમજ સીબીએસઈની તમામ શાળાઓને આરટીઈ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવી છે.

(8:16 pm IST)