Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

મુખ્‍યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ગ્રામીણ યુવક-યુવતિઓને પગભર કરવા માટે સરકાર દ્વારા સહાય અપાશે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા મુખ્‍યમંત્રી ગ્રામોદય યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત ગ્રામીણ યુવક-યુવતિઓને પગભર થવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.

રાજ્યમાં મહિલા સશક્તિકરણ માટે મહિલાઓને સ્વસહાય જુથમાં સામેલ કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ આપી તેઓને વધુ ઝડપથી આર્થિક પગભર કરવા માટે મુખ્યમંત્રી ગ્રામોદય યોજના વર્ષ ૨૦૧૮-૧૯ અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં એક વર્ષમાં ૫ લાખ જેટલા કુટુંબો/મહિલા લાભાર્થીઓ, યુવાનોને ઓછામાં ઓછી કૌટુંબિક માસિક આવક રૂા.૮૦૦૦/મેળવે તેવા સધન પ્રયાસો કરવાનું નક્કી કરાયું છે.

ગ્રામોદય યોજનામાં મહિલાઓ/યુવાનોને આર્થિક સશક્તિકરણ તરફ લઇ જવા માટે તેઓને શરૂઆતથી જ એન્કર ઉદ્યોગ સાથે નામાંકિત નાણાંકીય સંસ્થાઓ સાથે / બિન સરકારી સંસ્થાઓ સાથે જોડાણ કરવામાં આવે છે. સ્વ સહાય જૂથ, જોઇન્ટ લાયબીલીટી જુથો અને જોઇન્ટ લાયાબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ જુથો અને વ્યક્તિગત રીતે યુવાનો અને મહિલાઓને આર્થિક લાભ અપાવવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે.

જે અંતર્ગત ઔદ્યોગિક ઉત્પાદકોને એન્કર તરીકે જોડી એમના ક્ષેત્રમાં ખુટતી કડી દુર કરી તેમના ઉત્પાદનમાં વધારો કરવા માટે સ્વસહાય જુથ, જોઇન્ટ લાયબીલીટી જુથો અને જોઇન્ટ લાયાબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ જુથો સામેલ કરવા. 

પ્રોસેસર, નિકાસ કરનાર વેપારી, હોલસેલના વેપારી વિગેરેને એન્કર તરીકે જોડીને તેમની જરૂરીયાતવાળી વસ્તુ સ્વસહાય જુથ તેમજ જોઇન્ટ લાયબીલીટી જુથ મારફતે તૈયાર કરાવવી. 

સ્વૈચ્છિક સંસ્થાઓ, વિકાસ એજન્સીઓ, સરકારી/અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા સ્વસહાય  જુથ અને  જોઇન્ટ લાયબીલીટી જુથને આજીવિકા પુરી પાડવામાં આવશે. 

નાણાંકીય સંસ્થાઓ જેવી કે, બેંક, ઇન્સ્યોરન્સ કંપની વિગેરેને પ્રથમથી સ્વસહાય જૂથ અને જોઇન્ટ લાયબીલીટી જુથ સાથે જોડી તેમને જરૂરી તાલીમ આપી તેમને ફોર્મલ સેક્ટરમાં લાવવા. 

સમાજનાં પાયાની જરૂરીયાત સેવાઓ અને સુવિધા પુરી પાડવા માટે આ મોડલ મારફતે સ્વ સહાય જુથ અને જોઇન્ટ લાયબીલીટી જુથને રોજગારી પુરી પાડવામાં આવશે. 

આ યોજનામાં રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટે રૂા.૬૦ કરોડની નાણાકીય જોગવાઇ કરી છે જેમાં ૯૬% રકમ યોજના માટે વાપરવામાં આવશે અને ૪ % રકમ વહીવટી ખર્ચમાં ઉપયોગમાં લેવામાં આવશે. આ યોજનાનો ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા તેમના જિલ્લા કક્ષાના માળખા મારફતે અમલ કરવામાં આવશે. 

અત્રે નોંધનીય છે કે, ગુજરાત રાજ્યની સ્થાપનાની સ્વર્ણિમ જયંતી પ્રસંગે રાજ્યમાં મહિલાઓના સશક્તિકરણ અને ગરીબોના જીવનધોરણમાં તથા માનવ સુચકઆંક (HDI), per capital આવકમાં સુધારો લાવવાના હેતુથી ગુજરાત સરકાર આજીવિકા યોજના અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી.ની સ્થાપના કરવામાં આવી છે.

(5:23 pm IST)