Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

લાલ કિલ્લા બાદ કેન્‍દ્રીય પ્રવાસન વિભાગ દ્વારા હવે પાટણની સુપ્રસિદ્ધ રાણકી વાવને પણ ખાનગી કંપનીને દત્તક દેવાની વિચારણા

પાટણઃ લાલ કિલ્લા બાદ કેદ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા હવે ગુજરાતના ઐતિહાસિક વારસાને ખાનગી કંપનીઓના હાથમાં સોંપવાના સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલ પાટણની રાણીકી વાવને હવે ખાનગી કંપનીને દત્તક આપવાની વાત સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઓએનજીસી કંપનીને વાવ દત્તક આપવા માટે વાતોઘાટો થઈ રહ્યો છે. તો પાટણ જિલ્લાના પુરાતત્વ વિભાગના જવાબદાર સત્તાધીશો પણ કેમેરા સામે બોલવા તૈયાર નથી. હાલ વાવની મુલાકાતે આવતા મુલાકાતીઓ દ્વારા થતી આવકને ધ્યાનમાં રાખીને વાવને કેમ ખાનગી કંપનીને સોંપવાની જરૂર પડી એ સવાલ સમગ્ર પાટણમાં લોકચર્ચાનો વિષય બન્યો છે. 

વરસે દહાડે અહીં ત્રણ લાખથી પણ વધુ સહેલાણીઓ આવીની ધરોહરથી વાકેફ થાય છે. કારણકે જો ખાનગીકરણ થાય તો ટીકીટના દરમાં પણ વધારો થવાની શકયતા છે. સિકયોરિટી સહિત તમામના પેટ પર પાટુ પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ કેન્દ્ર સરકારની એડોપ્ટ એ હેરિટેજ સ્કીમ હેઠળ લાલ કિલ્લો દેશની એવી પ્રથમ ઐતિહાસિક ઈમારત બની ગયો છે કે જેને દાલમિયા જૂથે પાંચ વર્ષના કોન્ટ્રાકટ પર દત્તક લઈ લીધો હતો. આ સાથે દાલમિયા ગ્રૂપ પણ એવું પહેલું કોર્પોરેટ હાઉસ બની ગયું છે કે જેણે દેશના કોઈ ઔતિહાસિક સ્થળને આ રીતે દત્તક લીધું હોય. આ માટે દાલમિયા જૂથે સરકારને ૨૫ કરોડ ચૂકવી દીધા છે.

એડોપ્ટ એ હેરિટેજ સ્કીમ હેઠળ આગામી દિવસોમાં લાલ કિલ્લા બાદ તાજમહાલને પણ દત્તક લેવામાં આવશે. આ માટે જીએમઆર સ્પોર્ટ્સ અને આઈટીસી તેને દત્તક લેવાના અંતિમ દોરમાં છે. તેથી હવે થોડા સમય બાદ તાજમહાલને પણ કોઈ જૂથ દત્તક લઈ લેશે.

કેન્દ્ર સરકારે આ સ્કીમ ગત વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરી હતી, જેમાં સમગ્ર દેશમાં રહેલી ૧૦૦ ઈમારતોને આ માટે પસંદ કરવામા આ‍વી હતી. આ ઈમારતોમાં તાજમહાલ, કાંગડા ફોર્ટ, કોણાર્કનુ સૂર્યમંદિર અને સતીઘાટ સહિત અનેક સ્થળનો સમાવેશ થાય છે ત્યારે હવે દાલમિયા જૂથે લાલ કિલ્લાને આ રીતે પાંચ વર્ષના કોન્ટ્રાકટ પર દત્તક લીધો છે અને આ રીતે દેશમાં પ્રથમ વાર જ કોઈ ઐતિહાસિક સ્થળને દત્તક લેવાની ઘટના બની છે.

(5:18 pm IST)