Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

૨૧ દિવસના લોકડાઉનના કારણે ઉદ્યોગ-ધંધા ઉપર માઠી અસરઃ ગુજરાતના ૨૧ ઔદ્યોગિક સંગઠનો દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને પત્ર પાઠવી રાહત પેકેજની માંગણી

વડોદરા: સમગ્ર દેશમાં 25મી માર્ચથી 21 દિવસ માટે લોકડાઉન લાગુ છે. લોકડાઉનના પગલે ઉદ્યોગ-ધંધા પર માઠી અસર પડી છે. હાલત કફોડી બની ગઈ છે. જેને લઈને મધ્ય ગુજરાતના 21 ઔદ્યોગિક સંગઠનોએ સરકાર પાસે રાહત પેકેજની માગણી કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે પત્ર લખ્યો છે.

મળતી માહિતી મુજબ મધ્ય ગુજરાતના 21 ઔદ્યોગિક સંગઠનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રાહત પેકેજની માગણી કરી છે. ઉદ્યોગોને વિવિધ રાહતો આપવા માટે પગલાં લેવા જણાવ્યું છે. આ ઉપરાંત જ્યાં હોટ ઝોન ન હોય ત્યાં 21 એપ્રિલ બાદ ઉત્પાદન શરૂ કરવાની મંજૂરી પણ માંગી છે.

અત્રે જણાવવાનું કે કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જાય છે. લોકડાઉન હોવા છતાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે પત્રકાર પરિષદ સંબોધીને ગુજરાતમાં કોરોના વાયરસ પર શું પરિસ્થિતિ છે તેના પર લેટેસ્ટ માહિતી આપી. આજે રાજ્યમાં કોરોના વાયરસના 4 નવા પોઝિટિવ કેસ આવ્યાં. નવા ચારેય કેસ લોકલ છે. જ્યારે બેના મોત થયા છે. જેના કારણે રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 179 પર પહોંચ્યો. 24 કલાકમાં કુલ 932 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

જે બે મોત નોંધાયા છે તેમાં એક જામનગરમાં 14 માસના બાળકનું મોત થયું જ્યારે બીજુ મોત સુરતમાં 65 વર્ષના પુરુષનું નોંધાયું છે. 24 કલાકમાં જે 932 કેસ કરવામાં આવ્યાં તેમાંથી 14 કેસ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે 687 કેસ નેગેટિવ છે અને 281 પેન્ડિંગ છે.

ક્યાં કેટલા પોઝિટિવ કેસ

કોરોના વાયરસના પોઝિટિવ કેસ જે નોંધાયા છે તેમાં અમદાવાદના 83 કેસ છે. જયારે 5 મોત થયા છે. સુરતના 23 પોઝિટિવ કેસ છે અને 4 લોકોના મોત થયા છે. વડોદરામાં 13 કેસ જ્યારે 2 લોકોના મોત થયા છે. ગાંધીનગરમાં 13 કેસ, રાજકોટમાં 11, ભાવનગરમાં 16 કેસ જેમાં 2 લોકોના મોત થયા છે, પંચમહાલમાં 1 કેસ અને દર્દીનું મોત થયેલ છે. પાટણમાં 5 કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું તેમાંથી મોત નિપજ્યું છે. જામનગરમાં એક કેસ નોંધાયો અને વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. પોરબંદરમાં 3 કેસ, મહેસાણામાં 2, છોટાઉદેપુરમાં એક કેસ, કચ્છમાં 2, મોરબીમાં 1, ગીર સોમનાથમાં 2, સાબરકાંઠામાં એક અને આણંદમાં એક કેસ નોંધાયો છે.

કુલ 16 લોકોએ ગુમાવ્યાં જીવ

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે કુલ 16 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જેમાં અમદાવાદમાં 5, સુરતમાં 4, ભાવનગરમાં 2, પંચમહાલ અને પાટણમાં તથા જામનગરમાં એક-એક મોત સામેલ છે. વડોદરામાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાં છે.

(4:16 pm IST)