Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

હુમલાના વિરોધમાં કોંગ્રેસના રાજ્યભરમાં જોરદાર દેખાવ

એબીવીપીના હુમલાનો ચોતરફ જોરદાર વિરોધ : દિલ્હીની પેટર્નથી જ એનએસયુઆઇ કાર્યકરોને મારવામાં આવ્યા હોવાનો ગુજરાત કોંગીના પ્રમુખ ચાવડાનો આરોપ

અમદાવાદ, તા.૮ : જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(જેએનયુ)માં કેટલાક બુકાનીધારી યુવકો દ્વારા એકાએક વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાના વિરોધમાં એનએસયુઆઇના પ્રદર્શન દરમ્યાન આજે મામલો બીચકતાં એબીવીપીના કાર્યકરો અને એનએસયુઆઇના કાર્યકરો વચ્ચે જોરદાર મારામારી અને લાકડી, ધોકા અને પાઇપો વડે હુમલાના ચકચારભર્યા પ્રકરણમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને ધરણાંના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. એબીવીપીના કાર્યકરોની ગુંડાગીરીને લઇ કોંગ્રેસ પક્ષમાં બહુ ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને કોંગ્રેસ બહુ લડાયક અને આકરા મિજાજમાં ઉતરી આવી છે. કોંગ્રેસે એનએસયુઆઇના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી સહિતના કાર્યકરોને લોહીલુહાણ કરી હુમલાનો ભોગ બનાવનાર એબીવીપીના લુખ્ખા તત્વોની તાત્કાલિક ધરપકડ કરી સખત નશ્યત કરવામાં માંગણી કરી હતી. કોંગ્રેસના નેતાઓએ પોલીસ પર સમગ્ર પ્રકરણમાં આરોપીઓને છાવરવાના પ્રયાસ થઇ રહ્યા હોવાના ગંભીર આરોપ લગાવતાં હવે પોલીસ સામે પણ સરકારના ઇશારે કામ કરી હોવાના આરોપ લાગી રહ્યા છે, તેને લઇ નાગરિકોમાં પણ પોલીસ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

                    આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા બહુ મોટાપાયે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરો અને જિલ્લા - તાલુકા કક્ષાએ એબીવીપી અને ભાજપ સરકારના અત્યાચારી અને ગુંડાગીરીના વિરોધમાં જોરદાર દેખાવો, ધરણાં અને વિરોધદર્શક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અમદાવાદમાં આજે કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે વીર નર્મદના પૂતળા પાસે ધરણાનો કાર્યકમ યોજવામાં આવ્યો હતો. ધરણામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રવક્તા જયરાજસિંહ પરમાર તેમજ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇના કાર્યકતો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. કોંગ્રેસનું એક ડેલિગેશન આજે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી અને સમગ્ર મામલામાં ન્યાયિક તપાસ કરવા અને જે દોષિતો છે તેમને સજા કરવામાં આવે તેવી પણ માંગણી કરવાના છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, એનએસયુઆઇના કાર્યકરો પર સમગ્ર હુમલો સરકારના સમર્થનથી રચાયેલું પૂર્વયોજિત કાવતરું હતું. આખીય ઘટનામાં દિલ્હીની પેટર્નથી કાર્યકરોને મારવામાં આવ્યા છે. ઘટના સ્થળે પોલીસ હાજર હતી તો આવા હથિયારો ક્યાંથી આવ્યા તેની તપાસ થાય.

                 તો વિપક્ષનાને નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના નેતાઓના નેજા હેઠળ સુરતમાં જોરદાર દેખાવો કોંગ્રેસ દ્વારા યોજાયા હતા. આ જ પ્રકારે રાજકોટના ત્રિકોણબાગ ખાતે રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાન તેમજ એનએસયુઆઇ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો સાથે જ એબીવીપી વિરુધ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરાઇ હતી તો સાથે જ એન.એસ.યુ.આઇ.ના કાર્યકર્તાઓ પર જે હિચકારો હુમલો થયો છે તેની તટસ્થ તપાસની માંગ પણ કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ત્યાગીએ સુરતમાં જણાવ્યું હતું કે, જે રીતે એબીવીપી દ્વારા એનએસયુઆઈ પર હુમલા કરવામાં આવી રહ્યા છે તેને જોતા એબીવીપીનું નામ બદલીને અખિલ ભારતીય ગુંડા પરિષદ કરી દેવું જોઈએ. ત્યાગીએ અમદાવાથી લઈને જેએનયુમાં એનએસયુઆઈના કાર્યકરો પર થયેલા હુમલાની નિંદા કરતાં જણાવ્યું હતું કે, દેશમાં ગાંધીજીનું મહત્વ છે. ગાંધી અને સનાતનની પરંપરાવાળા દેશમાં ભાજપ અને આરએસએસનું કામ જોઈને તેના ડીએનએમાં કંઈક ખોટ હોય તેવું લાગી રહ્યું છે.

                 ભરૂચમાં જે.પી. અને એમ.કે.કોલેજની બહાર એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇના ૧૫થી ૨૦ જેટલા આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. તો, વલસાડ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રોષ વ્યકત કરાયો હતો અને આ હુમલા સામે નિષ્પક્ષ તપાસ થાય તેની માંગ કરવામાં આવી હતી.આવેદનપત્ર આપ્યા બાદ કોંગ્રેસ કાર્યાલય બહાર એ.બી.વી.પી સંગઠનનું પૂતળું સળગાવવાનો પ્રયાસ થતાં પોલીસે ભારે જહેમત બાદ મામલો શાંત પાડ્યો હતો.

(8:20 pm IST)