Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

આઈએનએસ વિરાટ હવે અલંગમાં જ ભસ્મીભૂત થશે

રક્ષા મંત્રાલયે મ્યૂઝિયમ બનાવવાની માંગણી ફગાવી : હવે માંગ ફગાવી દેતા ચાર મહિનાથી દરિયામાં ઉભેલા જહાજને આખરે પ્લોટમાં જ ભાંગવાની શરૂઆત કરાશે

ભાવનગર, તા. : અલંગમાં ભાંગવા આવેલા જહાજ આઈએનએસ વિરાટને મ્યૂઝિયમમા ફેરવવાની માંગ ફગાવાઈ છે. કેન્દ્રીય રક્ષા મંત્રાલયે મ્યૂઝિયમમાં ફેરવવાની માંગ ફગાવી દીધી છે. આઈએનએસ વિરાટ હવે અલંગમા ભસ્મીભૂત થશે. સપ્ટેમ્બર માસમા અલંગ માં ભાંગવા આવેલ જહાજ હજુ કિનારાથી દૂર છે. તેને મ્યૂઝિયમ બનાવવા માટેની માંગ સાથે મુંબઈની એક કંપનીએ ખરીદવા તૈયારી દર્શાવી હતી. હવે માંગ ફગાવી દેતા માસથી દરિયામાં ઉભેલા જહાજને આખરે પ્લોટમાં ભાંગવાની શરૂઆત કરાશેજહાજ ખરીદીને સંગ્રહાલયમાં ફેરવવા માટે મુંબઈ સ્થિત કંપની એન્વીટેક મરિન તૈયાર થઈ હતી. અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૯માં ૨૮મી સપ્ટેમ્બરના રોજ બીચ થયેલા વિરાટને મ્યૂઝિયમમાં તબદીલ કરવા માટે મુંબઇની એન્વીટેક મરિન કન્સલટન્ટ પ્રા.લિ. દ્વારા મુંબઇ હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા પીટીશનનો નીકાલ કરતા જણાવ્યુ હતુ કે, અરજદાર અને અંતિમ ખરીદનાર રાજી હોય તો અમને કોઇ વાંધો નથી, જરૂરી સરકારી પરવાનગીઓ લઇ જહાજનો નિર્ણય લઇ શકાય.

થેંક્યું વિરાતના કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ મંડવ્યા જાહેરમાં કહ્યું હતું કે જહાજ ૭૦ વર્ષ જૂનું હોય એક્સપર્ટ ના અભિપ્રાય મુજબ તેને મ્યુઝિયમમાં ફેરવી શકાય નહીં અને જો ફેરવાય તો મોટો અકસ્માત થવાની સંભાવના છે

ભારતીય નૌસેનાનું બીજુ વિમાનવાહક જહાજ આઈએનએસ વિરાટ માર્ચ, ૨૦૧૭ના રોજ સેવાનિવૃત્ત થયું હતું. આઈએનએસ વિરાટ ઉત્કૃષ્ઠ પ્રકારનું બીજુ વિમાનવાહક જહાજ છે, જેણે ભારતીય નૌસેનામાં ૩૦ વર્ષ સુધી સેવા આપી હતી, અને પહેલા તેણે બ્રિટનના રોયલ નેવીમાં ૨૫ વર્ષો સુધી સેવા આપી હતી. તેનો હેતુ વાક્ય 'જલમેવ યસ્ય, બલમેવ તસ્યલ્લ હતું. જેનો મતલબ થાય છે કે, જેનો સમુદ્ર પર કબજો છે, તે સૌથી વધુ બળવાન છે. આઈએનએસ વિરાટનું નામ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. તે દુનિયાનું એકમાત્ર એવું જહાજ છે, જે વૃદ્ધ થયા બાદ પણ ઉપયોગમાં લેવામાં આવતુ હતું અને તેમ છતા સારી કન્ડીશનમાં હતું. તેને 'ગ્રેટ ઓલ્ડ લેડીલ્લ નામથી પણ ઓળખવામાં આવતુ હતું. પશ્ચિમી નૌસેના કમાન તરફથી કહેવામાં આવ્યું હતું કે, તે ઈતિહાસમાં સૌથી વધુ સમય સેવા આપનાર જહાજ છે

(9:30 pm IST)