Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે BTP-JDUનું ગઠબંધન: ચૂંટણીમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ચૂંટણી પ્રચાર કરવા આવશે

જે લોકો ખરાબ શાસન ચલાવી રહ્યા છે એમને અમારે દૂર કરવા છે એટલે અમે જુના મિત્ર JDU સાથે ગઠબંધન કર્યું છે, ચૂંટણીમાં અમે એક બીજાને મદદ કરીશું: ધારાસભ્ય છોટુભાઈ વસાવા

રાજપીપલા: 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે BTP એ કોંગ્રેસ, AIMIM, AAP બાદ JDU સાથે ગઠબંધનની જાહેરાત કરી છે.BTP ના કાર્યાલય ખાતે ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા, ગુજરાત પ્રદેશ JDU ના અધ્યક્ષ વિશ્વજીત સિંગ સહિત અન્ય નેતાઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ગઠબંધન અને ટીકીટ બાબતે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 માં જ્યારે નીતીશ કુમારે JDU પર કબજો કરી લીધો હતો ત્યારે શરદ યાદવ એમનાથી અલગ થઈ ગયા હતા.શરદ યાદવ સાથે છોટુભાઈ વસાવા પણ અલગ થઈ ગયા બાદ પોતાની અલગ નવી પાર્ટી BTP નું ગઠન કર્યું હતું.

આ બાબતે BTPના સંરક્ષક અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે જે લોકો ખરાબ શાસન ચલાવી રહ્યા છે એમને અમારે દૂર કરવા છે એટલે અમે જુના મિત્ર JDU સાથે ગઠબંધન કર્યું છે, ચૂંટણીમાં અમે એક બીજાને મદદ કરીશું.ગુજરાતની ચૂંટણીમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ચૂંટણી પ્રચાર કરવા આવશે.જે દેશની અને રાજ્યની જનતા સાથે છેતરપિંડી કરે છે એમનો અમે વિરોધ કરીશું.ભાજપે EVM સાથે ભારે સેટિંગ કર્યું છે, ભાજપ અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં ઢાલ તરીકે લાવ્યા છે.કેવડીયા ભાજપ સરકારે 70 ગામ લોકોને ખતમ કરી દીધા, આખે આખા ગામો તોડી નાખ્યાં.હવે ભાજપને આદિવાસીઓ પાસે મત માંગતા શરમ આવવી જોઈએ.ભાજપે આદિવાસીઓને છિન્ન ભિન્ન કરી દીધા એમના હક અધિકારોથી વંચિત રાખ્યા છે.

જ્યારે ગુજરાત પ્રદેશ JDU ના અધ્યક્ષ વિશ્વજીત સિંગે જણાવ્યું હતું કે અમે બંનેવ ભાઈઓ જુદા પડી ગયા હતા હવે ભેગા મળી ગયા છે.ગુજરાતમાં ચુંટણી પ્રચારમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાષ્ટ્રીય અધ્યક્ષ લલ્લન સિંગ, મહાસચિવ કે.સી.ત્યાગી, RJD ના તેજસ્વી યાદવ સહિત દેશભરના અમારા નેતાઓ ચુંટણી પ્રચાર માટે આવશે.ટીકીટ ફાળવણી મુદ્દે એક બે દિવસમાં નિર્ણય કરવામાં આવશે.

(5:45 pm IST)