Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

ગારીયાધાર બેઠકમાં નવુ સીમાંકન થતા જેસર-મહુવા મત વિસ્‍તારનો સમાવેશઃ નવા સમીકરણો રચાતા બેઠકમાં ફેરફાર થવાના એંધાણ

અમરેલી લોકસભા અંતર્ગત આવતી સાત વિધાનસભા બેઠકમાંથી પાંચ બેઠક ઉપર કોંગ્રેસ અને બે બેઠક પર ભાજપનો કબ્‍જો

અમદાવાદઃ ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક છે. ગારીયાધાર બેઠકનું નવુ સીમાંકન થતા જેસર-મહુવા મત વિસ્‍તારનો સમાવેશ થયો છે. નવા સમીકરણ સર્જાતા બેઠકની ગોઠવણ કેવી રહેશે ? તેવી ચર્ચાઓ થવા લાગી છે.

ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક છે. તેમાંથી એક છે ગારિયાધર બેઠક. આ બેઠક વર્ષ 2008માં નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવી. નવા સીમાંકન પ્રમાણે ગારિયાધર જેસર થઈ ગઈ છે. ગારિયાધર સીટમાં જેસર મહુવા વિસ્તારના અનેક ગામડાઓનો સમાવેશ થાય છે. ગારિયાધર વિધાનસભા બેઠક અમરેલી લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. અમરેલી લોકસભા અંતર્ગત આવતી સાત વિધાનસભા બેઠકમાંથી પાંચ બેઠક પર કોંગ્રેસ અને બે બેઠક પર ભાજપનો કબજો છે.

ગારિયાધર બેઠક પર મતદારો:

ગારિયાધર વિધાનસભામાં કુલ 2 લાખ ત્રણ હજાર 546 મતદારો છે. તેમાંથી 1 લાખ 6 હજાર 940 પુરુષ મતદારો અને 96 હજાર 606 મહિલા મતદારો છે. આ વિધાનસભા બેઠક પર કોળી સમુદાયનો દબદબો વધારે છે.

ગારિયાધર બેઠકનું રાજકીય સમીકરણ:

ગારિયાધર વિધાનસભા બેઠક પર 2017ની ચૂંટણીમાં બીજેપીના કેશુભાઈ નાકરાણીએ જીત મેળવી હતી. વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ નસીબ અજમાવી રહી છે. અહીંયા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રસ્તો ખરાબ થઈ જતાં જાતે જ રસ્તો બનાવવાનું શરૂ કર્યુ છે. અને સરકારનો વિરોધ પણ શરૂ કર્યો છે. અહીંયા અનેક વિસ્તારોમાં આમ આદમી પાર્ટીથી લોકો પ્રભાવિત થયા છે. જેનાથી રાજકીય ગરમાવો વધી ગયો છે.

2017ની ચૂંટણીનું પરિણામ:
ગારિયાધર વિધાનસભા બેઠક પર ભાજપના કેશુભાઈ નાકરાણીએ જીત મેળવી હતી. તેમને કુલ 50,635 મત મળ્યા હતા. કેશુભાઈ નાકરાણી સામે ઉભા રહેલા કોંગ્રેસના પરેશ ખેનીનો 1876 મતથી પરાજય થયો હતો. તેમને 48,759 મત મળ્યા હતા.

ગારિયાધર બેઠકની સમસ્યા:
તાલુકાના અનેક ગામડામાં પીવાના પાણીની સમસ્યા છે. છેલ્લા ઘણા સમયથી અહીંયા પીવાનું મીઠું પાણી આવતું નથી. શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારમાં આવેલા અનેક ગામડામાં પીવાલાયક પાણી આવતું નથી. તો ભૂગર્ભ ગટરની સમસ્યાનો ઉકેલ ન આવતાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. હજુ પણ આ વિસ્તારમાં પાણી, બેરોજગારી અને રસ્તાઓના પ્રશ્નો સૌથી મોટા છે. પાક વીમો, ખેતરોમાં 24 કલાક વીજળીનો અભાવ પણ ચૂંટણીને અસર કરી શકે છે.

(4:50 pm IST)