Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

૨૨ વર્ષોથી ચાલતા ભાજપના કાંડનો જનતા પર્દાફાશ કરશે

જયોતિરાદિત્ય સિંધિયાના ભાજપ પર ચાબખાઃ કમળનું ફુલ, હમારી ભૂલના નારા લાગે છે, ભાજપે પ્રજાનો મત સમજી લેવો જોઇએ : અયોધ્યા મામલો સબજયુડીશ

અમદાવાદ, તા.૬, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચારાર્થે આવેલા કોંગ્રેસના યુવા નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ આજે સુરત ખાતે ભાજપ પર સીધા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં બદલાવની જે હવા ફુંકાઇ રહી છે, તે સંકેત છે. હું ગુજરાતનો જમાઇ છું. વિશ્વની સૌથી મોટી શકિત હોય તો એ છે પ્રજા તંત્ર. છેલ્લા ૨૨ વર્ષોથી ગુજરાતમાં જે કૌભાંડો ચાલી રહ્યા છે, તેનો આ વખતે ગુજરાતની જનતા પર્દાફાશ કરશે. ગુજરાતની જનતા ભાજપને જાકારો આપી કોંગ્રેસની પોતાની સરકાર બનાવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે ખેડૂતોની હાલત કફોડી અને દુઃખી છે. આજે વીજળી, પાણી અને ઉત્પાદનના ભાવો વધી ગયા છે પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવો કે ટેકોના પૂરતા અને યોગ્ય ભાવો મળતા નથી કે નથી પાક વીમાની રકમ મળતી. વડાપ્રધાન મોદીએ ખેડૂતોના ટેકાના ભાવ રૂ.૧૫૦૦ થી ૨૦૦૦સુધી લઇ જવાની વાત કરી હતી પરંતુ તેનું પાલન થયું નથી. આના કરતાં કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને રૂ.૧૩૦૦નો ભાવ ચૂકવાતો હતો. આ જ પ્રકારે, શાકભાજી અને ફળફળાદિમાં પણ ખેડૂતો નુકસાનીની સાથે સાથે સરકારનો માર સહન કરી જીવવા મજબૂર બન્યા છે. ખેડૂતોના શોષણ અને કૃષિવિરોધી નીતિને લઇ આજે ગુજરાતનો ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે. કોંગ્રેસના યુવા નેતા સિંધિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત મોડેલની વાત કરીએ તો, એ કોઇની અમાનત કે જાગીર નથી. એ જનતાની અમાનત છે. સુરતના હીરાઉદ્યોગમાં આજે ૫૦ હજારથી વધુ લોકો બેરોજગાર બન્યા છે, તો દેશભરમાં આજે લાખો યુવાનો બેરોજગારી સામે ઝઝુમી રહ્યા છે અને રોજગારી માટે તરસી રહ્યા છે. નોટબંધી, જીએસટી સહિતના વિવાદીત નિર્ણયોને લઇ દેશની અર્થવ્યવસ્થા નષ્ટ થઇ અને રાષ્ટ્રનો જીડીપી ગ્રોથ રેટ ઘટી ગયો. ગુજરાતમાં પણ ભાજપના છેલ્લા ૨૨ વર્ષના કુશાસનથી પ્રજા કંટાળી ગઇ છે અને તેથી હવે આ વખતની ચૂંટણીમાં પ્રજા ભાજપને જાકારો આપશે. ભાજપથી કંટાળેલી જનતા નારા લગાવી રહી છે કે, કમળનું ફુલ, હમારી ભૂલ..ભાજપે પ્રજાના આ આક્રોશ પરથી જનમત સમજી લેવાની જરૂર છે. અયોધ્યા મામલે પૂછાયેલા એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં કોંગ્રેસના યુવા નેતા જયોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, અયોધ્યા મામલો સબજયુડીશ છે. સુપ્રીમકોર્ટ જે કંઇ નિર્ણય લેશે તે બધાને સન્માનીય રહેશે. કપિલ સિબ્બલ આ કેસમાં કોઇ પક્ષકાર તરીકે હાજર થાય છે અને તે માટે તેઓ સ્વતંત્ર છે.

 

(10:17 pm IST)