Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

આસોદર-ઉમરેઠ રોડ પરના મુજકુવા ગામે મધરાત્રીએ બે બસ સામસામે અથડાતા ચારના મોત: 16 મુસાફરને ઇજા

આસોદર:આસોદર-ઉમેટા રોડ ઉપર આવેલા મુજકુવા ગામના વણાંક પાસે મધ્યરાત્રીના પોણા ત્રણેક વાગ્યાના સુમારે બે લક્ઝરી બસ સામસામે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ચારના મોત થયા છે જ્યારે ૧૬ને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.
ગોઝારા અકસ્માતની મળતી વિગતો અનુસાર રાજકોટના જસદણની સાવલીયા ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર જીજે-૦૩, ડબલ્યુ-૯૮૪૧ ગઈકાલે સમી સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે જસદણથી મુસાફરો ભરીને સરત જવા માટે નીકળી હતી. મધ્યરાત્રીના પોણા ત્રણેક વાગ્યાના સુમારે લક્ઝરી બસ આસોદર-ઉમેટા રોડ ઉપર આવેલા મુજકુવા ગામના વણાંક પાસેથી પસાર થતી હતી ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલી લક્ઝરી બસ નંબર જીજે-૧૪, એક્સ-૩૨૨૨ ધડાકાભેર અથડાતાં બન્ને લક્ઝરી બસના આગળના ભાગનો લોચો વળી જવા પામ્યો હતો. એકદમ જ અકસ્માત સર્જાતા લક્ઝરી બસમાં મીઠી નીંદર માણી રહેલા મુસાફરોએ ચીસાચીસ કરી મુકી હતી જેને લઈને આસપાસના રહીશો તેમજ વાહનચાલકો આવી ચઢ્યા હતા અને બચાવ તથા રાહતની કામગીરીમાં જોડાઈ જવા પામ્યા હતા. ગમખ્વાર અકસ્માતમાં લક્ઝરી બસના ચાલક સહિત ત્રણના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા જ્યારે એકનું સારવાર દરમ્યાન હોસ્પીટલમાં મોત થયું હતુ. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ૧૬ને સારવાર માટે ૧૦૮ મોબાઈલ વાન દ્વારા દવાખાને મોકલી આપવામાં આવ્યા હતા. આ બનાવ અંગે આંકલાવ પોલીસે લક્ઝરી બસના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:50 pm IST)