Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

લ્યો કરો વાત... ગાંધીનગર પછી હવે દિવાળીના પરબે પણ અમદાવાદમાં નવજાત બાળકીને તરછોડી દેવાયું

અમદાવાદના AMTS બસ સ્ટેન્ડ પાસેથી બાળકી મળતા પોલીસને જાણ કરાઈ

ગાંધીનગરમાં બાળકને તરછોડાયેલી ઘટનાની શાહી હજુ સૂકાઈ નથી, ત્યાં તો અમદાવાદમાં ફરી બાળક મૂકી દેવાનો કિસ્સો સામે આવતા ભારે ચકચાર જોવા મળી છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા મહાકાળી માતાના મંદિર પાસે એક બાળકીને તરછોડી દીધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં AMTS બસ સ્ટેન્ડની નીચે અજાણ્યા લોકો બાળકીને મૂકી ફરાર થઈ ગયું હતું. આ ઘટના સંદર્ભે કોઈએ બાળકીનો અવાજ સાંભળતા કૃષ્ણનગર પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ AMTS બસ સ્ટેન્ડની નીચે અજાણ્યા શખસો નવજાત બાળકીને મૂકી ફરાર થઈ ગયા હતા, ત્યારબાદ બાળકી રડી રહી હતી ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ તેનો અવાજ સાંભળ્યો હતો.

આ વ્યક્તિએ તાત્કાલિક તપાસ કરતા એક બાળકી કપડામાં લપેટાયેલી હાલતમાં પડી હતી. ત્યારબાદ તે વ્યક્તિએ પોલીસને ફોન કર્યો હતો, ત્યારબાદ 108ની ટીમ અને પોલીસ પહોંચી હતી. બાળકીને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવમાં આવી હતી. જ્યારે બાળકીને કોણ મૂકી ગયું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:48 pm IST)