Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

સુરતના ઉગત વિસ્તારમાં નિષ્ઠુર માતાપિતાએ નવજાત બાળકને ત્યજી દેતા અરેરાટી મચી જવા પામી

સુરત: શહેરના ઉગત વિસ્તારની શ્રીજી નગરી સોસાયટીની પાછળ માધવ સરસ્વતી સ્કુલની નજીક પરિશ્રમ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા મકાન દલાલ દિનેશ રૂપાભાઇ કટારીયા (ઉ.વ. 59) આજે સવારે વોર્કીંગ કરીને આવ્યા બાદ રહેણાંક ફ્લેટની ગેલેરીમાં બેઠા હતા. ત્યારે તેમની નજર એપાર્ટમેન્ટની સામે ખુલ્લા પ્લોટમાં પડી હતી જયાં સાતથી આઠ કાગડાઓ ચાંચ મારી રહ્યા હતા. જેથી કોઇ પશુ મરી ગયું હશે એવું સમજી દિનેશભાઇએ તુરંત સુરત મ્યુનિસીપલ કોર્પોરેશનની મોરાભાગળ સ્થિત સંકલીત વોર્ડ ઓફિસમાં જાણ કરી હતી. જેને પગલે વોર્ડ ઓફિસના કર્મચારીઓ દિનેશભાઇ સાથે સ્થળ પર જઇ તપાસ કરતા નવજાત બાળક મૃત હાલતમાં હતું.

કાગડાઓએ ચાંચ મારતા નવજાત બાળકના માથાની જમણી બાજુ ચામડી, જમણા પગ અને થાપાના ભાગે ચાંઠા પડી ગયા હતા. જયારે પેટના ભાગે નાભીમાં નાળ પણ હતી. જેને પગલે દિનેશ કટારીયાએ તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરતા રાંદેર પોલીસ ઘસી આવી હતી. પોલીસે નવજાત માસુમને ત્યજી દેનાર નિષ્ઠુર માતા વિરૂધ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે નિષ્ઠુર માતાએ પોતાનું કુકર્મ છુપાવવા માટે માસુમને ત્યજી દીધું હોવાની આશંકા સાથે સ્થાનિક વિસ્તારની સોસાયટી અને મેટરનીટી હોમમાં તપાસ હાથ ધરી છે. 

(5:27 pm IST)