Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

અમદાવાદ મહિલા ક્રાઈમના લાંચિયા પીએસઆઈ શ્વેતા જાડેજા લાંચ કેસ : તપાસમાં સહકાર આપી રહ્યા નથી PSI

કાયદો આપ જાણો જ છો તેમ કહી વાત ટાળે છે : ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને સાયબર ક્રાઈમની ચાર ટીમો કેસમાં તપાસ કરે છે : આઈફોન અંગે પણ તપાસ

અમદાવાદ, તા. ૦૬ : અમદાવાદ મહિલા ક્રાઈમના લાંચિયા પીએસઆઈ શ્વેતા જાડેજા હાલ પોલીસ રિમાન્ડ પર છે. જોકે તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓને શ્વેતા જવાબ નથી આપતી. તપાસ દરમિયાનના સવાલોનો જવાબ કાયદાકીય આપી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. તો તાજેતરમાં શ્વેતાએ એકાદ લાખનો આઈફોન પણ ખરીદ્યો હતો. તે ફોન તેના રૂપિયાથી લીધો કે કોઈએ અપાવ્યો તે બાબતે તપાસ ચાલી રહી છેલાંચ લેનારી પીએસઆઈ શ્વેતા જાડેજા ખૂબ ચબરાખ છે. તે પોતે જાણે ગુનાહિત માનસિકતા ધરાવતી હોય તેમ પોલીસની રગે રગથી વાકેફ હોય તેવું વર્તન તેનું જોવા મળી રહ્યું છે. કોઈપણ અધિકારી સવાલ કરે તો કાયદો આપ જાણો છો તેમ કહી વાત ટાળી રહી છે.

          ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને સાયબર ક્રાઈમની ચાર ટીમો કેસમાં તપાસ કરી રહી છે. ટીમોએ કેશોદ, પોરબંદર, ઉપલેટામાં ધામા નાખ્યા છે અને અમદાવાદમાં પણ તપાસ કરી રહી છે. તો બીજીતરફ આંગડિયા પેઢીના જયુભા ચુડાસમાને કેસમાં સાક્ષી બનાવાયો છે. બીજીતરફ સુત્રોનું કહેવું છે કે મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાની ભરતી પ્રક્રિયાથી લઈને વર્તમાન પોસ્ટિંગ સુધીની મિલકત, વાહન, મોંઘી વસ્તુઓ અને મોબાઈલ સહિતની ખરીદ વેચાણની માહિતી તપાસ એજન્સી એકઠી કરી રહી છે. તેણે તાજેતરમાં એક લાખનો આઈફોન ખરીદ્યો હતો તે તેણે પોતે ખરીદ્યો કે લાંચની રકમથી મેળવ્યો તે બાબતે પણ તપાસ હાથ ધરાઈ છે. મહિલા પીએસઆઈ તેના 'ગોડફાધર' એવા પોલીસ અધિકારીની સલાહ સુચન પ્રમાણે ચાલી રહી હોવાનું પોલીસ માની રહી છે.

         મહિલા પીએસઆઈના ફોનમાં એક ઉચ્ચ અધિકારી સાથેના અનેક ફોનના વ્યવહાર પોલીસને જણાયા છે. જોકે તે મહિલા ક્રાઈમમાં હોવાથી તપાસના કામ માટે ફોન કરાયા છે કે અન્ય કોઈ કામથી તે બાબતે કહેવું મુશ્કેલ છે. સાથે સાથે મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં શ્વેતા જાડેજાએ કરેલી તમામ કેસોની વિગતો મંગાવાઈ છે. શ્વેતા જાડેજાએ અત્યારસુધીમાં ૧૩ કેસની તપાસ કરી છે. તે કેસોના ફરિયાદી આરોપીઓની પણ પૂછપરછ કરી અન્ય લાંચના વ્યવહારો કરાયા છે કે કેમ તે તપાસાશે. તો બીજીતરફ, તપાસ એજન્સીએ પીએસઆઈ અને તેના પરિવારજનોના બેન્ક એકાઉન્ટની માહિતી પણ મંગાવી છે. ૩૫ લાખમાંથી ૨૦ લાખનો ઓન પેપર નો હિસાબ મળ્યો છે. પણ ૧૫ લાખ બાબતે પીએસઆઈ જવાબ નથી આપતા. જે એજન્સીમાં શ્વેતા કામ કરતી હતી ત્યાં અઠવાડિયા સુધી તેની સામે તપાસ કરાઈ પણ એજન્સીમાં કોઈને ગંધ આવી નહોતી તેવું સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે હાલ તપાસ ટીમો બહારથી આવ્યા બાદ નવા ખુલાસા ચોક્કસ થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

(10:22 pm IST)