Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ગુજરાતમાં ભાજપ દ્વારા ૧.૬૧ કરોડ ફુડ પેકેટ, ૨૨ લાખ રાશનકીટનું વિતરણ

સેવા હી સંગઠન કાર્યક્રમમાં ભાગ લેતા પ્રદેશના આગેવાનો

અમદાવાદ,તા.૬ : ભાજપા પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, સોશ્યલ મીડીયાના માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ કેન્દ્રીય ભાજપાના 'સેવા હી સંગઠન' કાર્યક્રમ અંતર્ગત ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ સમગ્ર દેશમાં કુલ ૯૦૭ જિલ્લા અને ૧૩૭૯૬ મંડલમાં ભાજપા સંગઠન દ્વારા કોરોના મહામારીની પરિસ્થિતિમાં જે વિવિધ સેવાકીય કાર્યો થયા તેનું પ્રસ્તુતિકરણ કર્યુ હતું.

પંડ્યાએ જણાવ્યું હતું કે, આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ, કેન્દ્રીય રક્ષામંત્રી   રાજનાથ સિંહજી તેમજ ભાજપાના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને અગ્રણીઓ ભાજપાના દિલ્હી સ્થિત કેન્દ્રીય કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ભાજપા પ્રદેશ કાર્યાલય  'શ્રી કમલમ' ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી વી.સતીષજી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી  ભીખુભાઈ દલસાણીયા,  સુરેન્દ્રકાકા, પ્રદેશ મહામંત્રીશ્રી શબ્દશરણ બ્રહ્મ ભટ્ટ, સાંસદ  કિરીટભાઈ સોલંકી,   નરહરિ અમીન,  રમીલાબેન બારા તથા અન્ય પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સોશ્યલ મીડિયાના માધ્યમથી નિહાળ્યો હતો. 

શ્રી પંડ્યા જણાવ્યું હતું કે, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટક, દિલ્હી, આસામ અને ઉત્તર પ્રદેશમાં કોરોના મહામારીના સમયમાં ભાજપાના કાર્યકર્તાઓ અને સંગઠન દ્વારા થયેલ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું પ્રસ્તુતિકરણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ કરવામાં આવ્યું હતું,  જે અંગે પ્રતિક્રિયા આપતાં પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં ભાજપના કાર્યકર્તાઓએ સેવાભાવ, સંતુલન, સંયમ, સમન્વય, સકારાત્મકતા, સદભાવના, અને સંવાદ એમ 'સેવન-s' સાથે ખડે પગે રહી જનતાની સેવા કરી છે,

શ્રી પંડ્યા જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે, દેશની સરકારોએ પોતાની શકિત, સૂઝબૂજ અને સાધનો દ્વારા તેનો સામનો કર્યો છે .કેન્દ્રની ભાજપા સરકારે રાજયો સાથે સમન્વય સાધી કોરોનાની રોકથામ માટે વિવિધ નિર્ણયો કર્યા છે.તેવા સમયમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારે સમયસર લોકડાઉનનો નિર્ણય, આર્થિક વ્યવસ્થાઓને ફરી ધમધમતી કરવા રૂ.૨૦ લાખ કરોડનું વિશેષ પેકેજ, રૂપિયા ૧ લાખ ૭૦ હજાર કરોડનું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ, ખેડૂતો માટેની વિવિધ સહાય, દેશના ૮૦ કરોડથી વધુ નાગરિકોને આઠ મહિના સુધી દોઢ લાખ કરોડ રૂપિયાના મૂલ્યનું વિનામૂલ્યે અનાજ વિતરણ જેવા નિર્ણય કર્યા છે. આ તમામ પગલા લેવા બદલ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપ્યા હતા અને આ વર્ચ્યુઅલ બેઠકમાં ડિજિટલ માધ્યમથી જોડાયેલા રાજયોના સંગઠન એકમોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઉભા થઈને 'સ્ટેન્ડિંગ ઓવેશન' આપી સન્માન કર્યુ હતું.

ગુજરાતમાં ભાજપા સંગઠન દ્વારા કરવામાં આવેલ વિવિધ સેવાકીય કાર્યો ની માહિતી આપતા શ્રી પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧,૬૧,૧૯,૫૦૦ જેટલા ફૂડ પેકેટ, ૨૨ લાખ થી વધુ પરિવારને રાશન કીટ તેમજ ૬૦ લાખ ૩૨ હજારથી વધુ માસ્કનું ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે.તદઉપરાંત, ૨૧,૬૨,૦૦૦ આરોગ્ય સેતુ એપ કાર્યકર્તાઓના માધ્યમથી ડાઉનલોડ કરવામાં આવી છે તેમજ કાર્યકર્તાઓ દ્વારા ૧૪ કરોડથી વધુની ધનરાશી PM CARESમાં  જમા કરાવવામાં આવી છે.

(11:49 am IST)