Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કોરોના હવે બાળકો પાછળ પડયોઃ અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં 3ના મોતઃ 10 બાળ દર્દીઓ સારવારમાં

અમદાવાદ: અમદાવાદ સિવિલ કેમ્પસમાં કોરોના દર્દીઓની સંખ્યા 1 હજારને પાર કરી છે. 1008 દર્દીઓ અમદાવાદ સિવિલ કેમ્પસમાં સારવાર હેઠળ છે. ગઈકાલે એક જ દિવસમાં 290 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેડ હોસ્પિટલ, યુ.એન. મહેતા, કિડની, કેન્સર હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સારવાર અપાઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત 3 બાળકોના મોત થયા છે.

છેલ્લા બે અઠવાડિયામાં 3 બાળકોના મોત થયા છે. હાલ 10 બાળકો કોરોના સંક્રમિત સારવાર હેઠળ છે. હાલ બેની સ્થિતિ નાજૂક છે અને 8 બાળકોની સ્થિતિ સ્થિર છે. 3 બાળકોના મોત મામલે સિવિલ કેમ્પસના પીડિયાટ્રિક વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડોકટર ચારુલ મહેતાએ જણાવ્યું હતું કે, નાના બાળકોમાં શ્વસનની સમસ્યા, ઝાડા ઉલટી, ચીડિયાપણું, દૂધ લેવાનું બંધ કરે, માથાનો દુખાવો, ગાળામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે.

કોરોના બાળકોમાં જોવા મળે ત્યારે તે ગંભીર અસર પેદા કરે છે. કેટલાકની ઇમ્યુનિટી સારી હોય તો માત્ર શરદી ખાંસી થાય છે અને શરીરના દુખાવા બાદ મટી પણ જાય છે. પણ કોઈ બાળકને અન્ય કોઈ સમસ્યા હોય તેવા કેસમાં લોહી નીકળતું, ખેંચ આવવી, હૃદયની સમસ્યા થવાની શકયતા રહે છે. બાળકમાં લક્ષણ ના જોવા મળે અને કોરોના પોઝિટિવ હોય એ પણ સુપર સ્પ્રેડર બની શકે છે.

બાળકોને ઉંમર મુજબ સમજ આપવી જોઈએ, નાના બાળકોમાં સમજ ના આવી શકે પણ એ માતા પિતાને જોઈને શીખે છે. કેટલાક બાળકો ટીવીમાં, અખબારમાં જોઈને શીખતાં હોય છે, પણ બાળકને સમજ આપવી જ એકમાત્ર ઉપાય છે. ઓનલાઈન શિક્ષણ હાલ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ ગેધરિંગના નામે થતી પાર્ટીથી બચવું જોઈએ.

ત્રણ મૃત્યુ થનાર બાળકો

- ચાંદલોડિયા અર્બુદાનગર વિસ્તારના 8 વર્ષીય બાળકનું મોત 5 એપ્રિલના રોજ થયું હતું.

- મેમનગર સ્થિત જનકપુરી વિસ્તારમાં રહેતું બાળકીનું નામની 9 વર્ષીય બાળકનું મોત 3 એપ્રિલના થયું - બાળકીને હૃદયની સમસ્યા અને ડાઉન સિન્ડ્રોમ હોવાથી કો મોરબીડ સ્થિતિમાં દાખલ કરવામાં આવી હતી.

- અમરાઈવાડી વિસ્તારની બે વર્ષની બાળકીનું 23 માર્ચના રોજ મોત થયું હતું.

(5:40 pm IST)