Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

નાના એકમોને રજિસ્ટ્રેશન એક જ વાર કરવાનું રહેશે

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ક્ષેત્રે નવતર પગલું : પ્રતિ વર્ષ રજિસ્ટ્રેશનમાંથી કારોબારીઓને મુક્તિ મળશે

અમદાવાદ,તા.૬ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ ક્ષેત્રે ગુજરાત સરકારે નવતર અભિગમ દાખવીને દુકાનો અને સંસ્થા અધિનયમ (ગુમાસ્તા ધારો) રદ કરીને નવો શોપિંગ એન્ડ એસ્ટાબ્લીશ મેન્ટ એક્ટ ૨૦૧૯નો કાયદો અમલમાં લાવવાનો નિર્ણય કર્યો છે. જે હેઠળ નાના વેપારીઓ અને નાના ઔદ્યોગીક એકમોએ વ્યવસાયનું રજીસ્ટ્રેશન એક જ વખત કરવાનું રહેશે. એકમો અને દુકાનોને પ્રતિ વર્ષ રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ અપાશે. આ માટેનું વિધેયક રાજ્ય સરકાર દ્વારા આગામી વિધાનસભાના સત્રમાં રજુ કરીને કાયદો બનાવવામાં આવશે. પટેલે કહ્યું કે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલ રાજ્યમંત્રી મંડળની બેઠકમાં આ વિધેયક માટે મંજુરી આપવામાં આવી છે. હાલ, જે ૧૯૪૮ નો કાયદો છે તેમાં સુધારા વધારા કરીને નાના વેપારીઓ, નાના ઔદ્યોગીક એકમોના માલિકો અને શ્રમયોગીઓ માટે આ કાયદામાં મહત્વના નિર્ણયો કરવામાં આવશે. પટેલે આ અંગે વધુ વિગતો આપતા કહ્યું કે, વેપારીઓ તથા ધંધાદારીઓ માટે રીન્યુઅલની પ્રથા રદ કરી વન ટાઈમ રજીસ્ટ્રેશન (જ્યાં સુધી માલિકી કે કામના પ્રકારમાં ફેરફાર ન થાય ત્યાં સુધી), દસથી ઓછા શ્રમયોગીઓને કામ ઉપર રાખે ત્યાં સુધી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નહી ફક્ત તેની જાણ કરવાની રહેશે. આ ઉપરાંત ૨૪ કલાક સંસ્થા ચાલુ રાખવાની છૂટ સહિતની વિવિધ જોગવાઈઓના પરિણામે લોકોને વધુ રોજગારી મળશે. તથા ગ્રાહકોને અનુકુળ સમયે ખરીદી કરવાની સગવડ થતાં ધંધા અને રોજગારમાં પણ વધારો થશે. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારો, નેશનલ હાઈવે, રેલ્વે પ્લેટફોર્મ, એસ.ટી. બસમથક, હોસ્પિટલ, પેટ્રોલપંપ પર આવેલ દુકાનોને ૨૪ કલાક ખુલ્લી રાખવાની તેમજ નગરપાલિકા અને સ્ટેટ હાઈવે પર આવેલ દુકાનોને સવારના ૬.૦૦ વાગ્યા થી રાત્રીના ૨.૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપતી જોગવાઈ વિવિધ શરતોને આધીન કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ વિધેયકમાં શ્રમયોગી કર્મચારીઓ માટે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. શ્રમયોગીઓ માટે શીફ્ટમાં કામ કરવા માટેની છૂટની સાથે સાથે ઓવરટાઈમમાં પણ દોઢ ગણાને બદલે હવે થી બમણું વેતન આપવામાં આવશે. મહિલા શ્રમયોગીઓ માટેનો સમય સવારના ૬.૦૦ થી રાત્રીના ૯.૦૦ સુધીનો રહેશે તથા ૩૦થી વધુ મહિલા શ્રમયોગીઓ જે એકમોમાં નોકરી કરતી હોય તો તેમના બાળકો માટે ઘોડીયાઘરની સુવિધા ઉપલબ્ધ કરાશે. જે એકમોમાં ૧૦૦ થી વધુ શ્રમયોગીઓ નોકરી કરતાં હોય ત્યાં અલાયદી કેન્ટીનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

(9:37 pm IST)